Ahmedabad Crime News : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક મારામારી અંતે એક યુવકની સરાજાહેર હત્યા સુધી પહોંચતા વિસ્તારામાં ચકચાર મચી છે. મેઘાણીનગર બસ સ્ટેન્ડ પાસે બે જૂથો વચ્ચે તલવાર અને ચપ્પુ વડે થયેલી અથડામણમાં નિવૃત્ત આર્મીમેન જયસિંગ પાવરના પુત્ર હિંમતસિંહ પાવરની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી. હિંમતસિંહનો હિતેશ ઉર્ફે બુચિયો પટણી, તેના ભાઇ પીકાચુ પટણી, અજય પટણી અને નિકુલ ઉર્ફે દતો પટણી સાથે ઝઘડો થયો હતો. આ ટોળકીયે હિંમતસિંહ પર વારંવાર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ હિંમતસિંહને 108 એમ્બ્યુલન્સ મારફતે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ થયું.
ઝઘડો, જૂથ અથડામણ અને હત્યા...
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે, રિક્ષાના હૂડ ફાડવાની બાબતે હિંમતસિંહ અને હિતેશ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા હિંમતસિંહે તલવાર વડે હિતેશ પર હુમલો કર્યો. હિતેશનો ભાઈ નિકુલ, પીકાચુ અને અજય ઝઘડો છૂટો પાડવા વચ્ચે પડતા તેમના પર પણ તલવાર વડે હુમલો થયો હતો. નિકુલને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હત્યાની ફરિયાદ નોંધાઈ
આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાવી છે. હિંમતસિંહના પિતા અને નિવૃત્ત આર્મીમેન જયસિંગ પાવરે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે, જ્યારે સામે પક્ષે હિતેશ ઉર્ફે બુચિયોએ હિંમતસિંહ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે. મેઘાણીનગર પોલીસે બંને ફરિયાદોના આધારે ગુના દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ બંને પક્ષના નિવેદન, CCTV ફૂટેજ અને હથિયારોની તપાસના આધારે સમગ્ર ઘટનાક્રમને સ્પષ્ટ કરવા પ્રયત્નશીલ છે.






