ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મ અને સંસ્કૃતિના રંગો એકબીજામાં ભળીને એક સુંદર અને અતૂટ સંબંધ બનાવે છે. માઘ મહિનાની શુક્લ પક્ષની પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે સમગ્ર ભારત જ્યારે જ્ઞાનની દેવી મા સરસ્વતીની આરાધનામાં લીન હોય છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં સાંપ્રદાયિક સૌહાર્દનું એક અદભૂત ઉદાહરણ જોવા મળે છે. દિલ્હીની પ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો પીળા વસ્ત્રો પહેરીને, પીળા ફૂલો સાથે વસંત ઉત્સવ ઉજવે છે. દરગાહ પર ચઢતી લીલી ચાદરને બદલે આ દિવસે ચારેતરફ પીળો રંગ છવાઈ જાય છે. આ પરંપરા પાછળ 700 વર્ષ જૂનો એક એવો કિસ્સો છે, જે ગુરુ-શિષ્યના અતૂટ પ્રેમની સાક્ષી પૂરે છે.
ગંગા-જમુની તહેઝીબનું પ્રતીક: દરગાહ પર પીળા ફૂલોની હોળી
સામાન્ય રીતે કોઈ પણ દરગાહ પર લીલા રંગની ચાદર અને લાલ ગુલાબના ફૂલ ચઢાવવામાં આવતા હોય છે, પરંતુ વસંત પંચમીના દિવસે નિઝામુદ્દીન દરગાહનો નજારો સાવ અલગ હોય છે. અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો ભેગા મળીને પીળા ગલગોટાના ફૂલોથી દરગાહને સજાવે છે અને હઝરત નિઝામુદ્દીન તેમજ અમીર ખુસરોની મજાર પર પીળી ચાદર ચઢાવે છે. આ દિવસે દરગાહ પર 'ગંગા-જમુની તહેઝીબ' એટલે કે સર્વધર્મ સંભાવનો માહોલ જોવા મળે છે.
ગુરુની ઉદાસી દૂર કરવા શિષ્યએ પહેરી હતી પીળી સાડી
ઇતિહાસકારોના મતે આ પરંપરા 13મી સદીમાં શરૂ થઈ હતી. હઝરત નિઝામુદ્દીન ઓલિયા પોતાના ભાણેજ તકિયુદ્દીન સાથે અત્યંત લગાવ ધરાવતા હતા. પરંતુ ગંભીર બીમારીના કારણે તકિયુદ્દીનનું અવસાન થયું, જેનાથી હઝરત નિઝામુદ્દીન ખૂબ જ ઉદાસ થઈ ગયા. તેમની મુસ્કાન ખોવાઈ ગઈ હતી અને તેઓ લાંબા સમય સુધી શોકમાં રહ્યા. તેમના માનીતા શિષ્ય અને પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો પોતાના ગુરુની આ હાલત જોઈને ખૂબ જ વ્યથિત હતા. તેઓ કોઈ પણ ભોગે પોતાના ગુરુના ચહેરા પર સ્મિત પાછું લાવવા માંગતા હતા.
હિન્દુ સ્ત્રીઓને જોઈને મળ્યો આ અનોખો વિચાર
એક દિવસ અમીર ખુસરોએ કેટલીક હિન્દુ મહિલાઓને પીળા વસ્ત્રો પહેરીને, હાથમાં પીળા સરસવના ફૂલો લઈને ગાતા-નાચતા જોયા. ખુસરોએ કુતૂહલવશ પૂછ્યું કે, "તમે આટલા બધા ખુશ કેમ છો અને ક્યાં જઈ રહ્યા છો?" મહિલાઓએ જવાબ આપ્યો કે, "આજે વસંત પંચમી છે અને અમે પીળા ફૂલ ચઢાવીને અમારા ભગવાનને ખુશ કરવા જઈ રહ્યા છીએ." ખુસરોને વિચાર આવ્યો કે જો આ રીતે ભગવાન ખુશ થતા હોય, તો કદાચ મારા ગુરુ પણ ખુશ થઈ જશે!
'સકલ બન ફૂલ રહી સરસોં' અને એ ઐતિહાસિક સ્મિત
અમીર ખુસરોએ તરત જ પીળી સાડી પહેરી, હાથમાં સરસવના પીળા ફૂલ લીધા અને હઝરત નિઝામુદ્દીન પાસે પહોંચી ગયા. ત્યાં જઈને તેઓ નૃત્ય કરવા લાગ્યા અને પોતાનું સુપ્રસિદ્ધ ગીત "સકલ બન ફૂલ રહી સરસોં" ગાવા લાગ્યા. પોતાના શિષ્યનો આ અનોખો અંદાજ જોઈને હઝરત નિઝામુદ્દીન ઓલિયાના ચહેરા પર સ્મિત આવી ગયું. બસ, ત્યારથી આ દિવસની યાદમાં દર વર્ષે દરગાહ પર વસંત ઉત્સવ મનાવવામાં આવે છે.




















