દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. 4 જૂનના રોજ કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ સત્તાવાર રીતે પ્રવેશ કરી લીધો છે. ચોમાસાના આગમન સાથે હવે આગામી દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે અને લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળશે.
દર વર્ષે ચોમાસું કેરલમથી જ કેમ શરૂ થાય છે અને વરસાદ માટે કયા વૈજ્ઞાનિક પરિબળો જવાબદાર હોય છે તે અંગે લોકોમાં ઉત્સુકતા રહેતી હોય છે. હકીકતમાં ચોમાસું માત્ર વરસાદનું નામ નથી, પરંતુ પવનની દિશામાં થતા ઋતુગત પરિવર્તનનું પરિણામ છે. આ પરિવર્તન સાથે સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો ભારત તરફ આગળ વધે છે અને ત્યારબાદ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસાવે છે.
ચોમાસાના બે મુખ્ય પ્રકાર
હવામાન વિજ્ઞાન અનુસાર ભારતમાં મુખ્યત્વે બે પ્રકારના ચોમાસા જોવા મળે છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું
જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સક્રિય રહેતું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ભારતના કુલ વાર્ષિક વરસાદનો મોટો હિસ્સો આપે છે. આ ચોમાસું બે મુખ્ય શાખાઓમાં વહેંચાય છે. પ્રથમ શાખા અરબી સમુદ્ર શાખા છે, જે સૌથી પહેલા કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠે પહોંચે છે. પશ્ચિમ ઘાટ સાથે અથડાતા આ ભેજયુક્ત પવનો ભારે વરસાદ લાવે છે. બીજી શાખા બંગાળની ખાડી શાખા છે, જે પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ અને ઓડિશા તરફ આગળ વધે છે. ત્યારબાદ તે ઉત્તર અને પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ફેલાય છે.
ઉત્તર-પૂર્વ અથવા પરત ફરતું ચોમાસું
ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન સક્રિય રહેતા આ ચોમાસાને રિટ્રીટિંગ મોન્સૂન પણ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને તમિલનાડુ, દક્ષિણ આંધ્ર પ્રદેશ, પુડુચેરી અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ થાય છે.
ચોમાસું કેવી રીતે બને છે?
વરસાદ પાછળ માત્ર વાદળો જ જવાબદાર નથી. હકીકતમાં હવાના દબાણ અને તાપમાન વચ્ચેનો મોટો તફાવત ચોમાસાની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એપ્રિલ અને મે મહિનામાં ભારતની જમીન ખૂબ ગરમ થઈ જાય છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારત, થાર રણ અને ગંગાના મેદાનોમાં તાપમાન ખૂબ વધી જાય છે. ગરમ હવા હળવી હોવાથી ઉપર તરફ ઉઠે છે. જ્યારે હવા ઉપર જાય છે ત્યારે જમીનની નજીક નીચું દબાણ એટલે કે લો પ્રેશર સર્જાય છે. ઉનાળાની ચરમસીમા દરમિયાન ઉત્તર ભારતમાં વિશાળ લો પ્રેશર ઝોન વિકસે છે. બીજી તરફ સમુદ્ર ધીમે ગરમ થતો હોવાથી ત્યાંનું તાપમાન જમીન જેટલું વધતું નથી. પરિણામે સમુદ્ર પર તુલનાત્મક રીતે હાઈ પ્રેશર જળવાઈ રહે છે.
આ પણ વાંચો: નર્મદામાં રાજપીપળા એરોડ્રામ ખાતે ટીટોડીએ મૂક્યાં 4 ઈંડાં : એક મહિનો ઓછા વરસાદના સંકેત
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત કેવી રીતે થાય છે?
સમુદ્રના ઉચ્ચ દબાણવાળા વિસ્તારથી હવા નીચા દબાણવાળા ભારતીય ભૂભાગ તરફ ગતિ કરે છે. આ પવનો સમુદ્રમાંથી મોટી માત્રામાં ભેજ સાથે લઈને આવે છે. દક્ષિણ ગોળાર્ધમાંથી આવતી હવાઓ વિષુવવૃત્ત (Equator) પાર કર્યા બાદ પૃથ્વીના પરિભ્રમણના કારણે વળી જાય છે. ભારતની નજીક પહોંચતા આ પવનો દક્ષિણ-પશ્ચિમ દિશામાં વહેતા હોવાથી તેને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કહેવામાં આવે છે. ભેજયુક્ત હવા ઉપર ઉઠે છે ત્યારે તે ઠંડી પડે છે. ઠંડી પડતા જળવાષ્પ સંઘનિત થઈને પાણીના ટીપાંમાં ફેરવાય છે. આ પ્રક્રિયા દ્વારા વાદળો બને છે અને વરસાદ શરૂ થાય છે.
ચોમાસું સૌથી પહેલા કેરળમાં જ કેમ પહોંચે છે?
આ પ્રશ્નનો જવાબ ભારતના ભૂગોળમાં છુપાયેલો છે. અરબી સમુદ્રની દિશાથી આવતી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શાખા સૌપ્રથમ ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારે આવેલા કેરળ સાથે અથડાય છે. કેરલમનાં દરિયાકાંઠાની સ્થિતિ અને તેની પાછળ આવેલા પશ્ચિમ ઘાટના પર્વતો ચોમાસાના વાદળોને ઉપર ઉઠવામાં મદદ કરે છે. પરિણામે ભારે વરસાદ પડે છે અને ચોમાસાની સત્તાવાર શરૂઆત અહીંથી માનવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પહોંચે છે, જોકે કેટલીક વખત તે વહેલું અથવા મોડું પણ આવી શકે છે. આ વર્ષે 4 જૂને કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી નોંધાઈ છે.
ચોમાસામાં ભારે વરસાદ વધારતા પરિબળો
ચોમાસા દરમિયાન દરરોજ સમાન વરસાદ પડતો નથી. કેટલીક હવામાન પ્રણાલીઓ વરસાદની તીવ્રતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
માનસૂની દ્રોણી (Monsoon Trough)
ઉત્તર ભારતમાં નીચા દબાણનો લાંબો પટ્ટો સર્જાય છે જેને માનસૂની દ્રોણી કહેવાય છે. જ્યારે આ દ્રોણી મજબૂત બને છે ત્યારે વરસાદની ગતિવિધિ વધે છે. જો તે નબળી પડે અથવા સ્થાન બદલાવે તો વરસાદમાં વિરામ પણ આવી શકે છે.
લો પ્રેશર સિસ્ટમ
બંગાળની ખાડીમાં વારંવાર નીચા દબાણના વિસ્તારો સર્જાય છે. આ સિસ્ટમો અંદરના વિસ્તારો તરફ આગળ વધીને મધ્ય ભારત અને અન્ય વિસ્તારોમાં સારો વરસાદ લાવે છે.
પર્વતોની ભૂમિકા
પશ્ચિમ ઘાટ અને હિમાલય જેવા પર્વતીય વિસ્તારો ભેજયુક્ત પવનોને ઉપર ધકેલવામાં મદદ કરે છે. હવા ઉપર જઈને વધુ ઠંડી બનતા ભારે વરસાદની સ્થિતિ સર્જાય છે.
હવે ગુજરાતમાં શું સ્થિતિ?
કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદ આગામી દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત તરફ આગળ વધશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોમાં આશાવાદી માહોલ જોવા મળી રહ્યો છે.





