અમદાવાદના શહેરીજનોને સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ભોગવવી પડી રહી છે. છેલ્લા દસ વર્ષમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન, મેઈન્ટેનન્સ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનો પાછળ 200 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરાયો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી કલાકો સુધી ઓસરતું નથી. હાલ તમામ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કોન્ટ્રાકટરોને હવાલે કરાયા છે. સરદારનગર પમ્પિંગ સ્ટેશનમાં વરસાદ દરમિયાન કર્મચારીઓ ઉંઘતા હોવાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
ફક્ત 30 ટકા જ સ્ટ્રોમ વોટર લાઈન
જોધપુર વોર્ડના પ્રહલાદનગર અને આનંદનગરમાં 29 કરોડ ખર્ચીને 29 કિમી લાઈન નાખવામાં આવી.
શહેરમાં કુલ 980 કિમીમાંથી ફક્ત 30 ટકા જ સ્ટ્રોમ વોટર લાઈન નાંખાઈ છે.
પશ્ચિમ વિસ્તારમાં 35% અને પૂર્વ વિસ્તારમાં 65% લાઈન આવેલી છે.
દર વર્ષે 3–4 કરોડ ખર્ચ છતાં પાણી ભરાવાના નવા સ્પોટ વધતા જાય છે.
18 વર્ષથી જળભરાવની સમસ્યા
વર્ષ 2007માં સરખેજ, મકતમપુરા, વેજલપુર, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, રાણીપ, કાળીગામ અને ચાંદખેડા જેવા વિસ્તાર કોર્પોરેશન હદમાં સામેલ થયા હતા. પરંતુ 18 વર્ષ પછી પણ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતાં જ ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. વેજલપુરનો શ્રીનંદનગર વિસ્તાર તો પાણી ભરાવાનો હોટસ્પોટ બની ગયો છે.
નાગરિકોમાં અસંતોષ
નાગરિકોના કહેવા મુજબ, કોર્પોરેશન દર વર્ષે પ્લાનિંગના દાવા કરે છે પરંતુ હકીકતમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વર્ષ 2019માં આશ્રમ રોડ પર 105 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાખાઈ હતી, તેમ છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થઈ નથી.





















