Urjit Patel: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા તેઓ રઘુરામ રાજન પછી RBIના ગવર્નર બન્યા હતા અને નોટબંધીના સમયગાળા દરમિયાન આ પદ પર રહ્યા હતા. IMFમાં તેમની આ નવી જવાબદારી 3 વર્ષ માટે રહેશે, જ્યાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ઉર્જિત પટેલનો પરિચય
ઉર્જિત પટેલનો જન્મ 1963માં કેન્યામાં થયો હતો, જોકે તેમનો પરિવાર મૂળ ગુજરાતી છે. તેઓ અગાઉ પણ IMF સાથે કામ કરી ચૂક્યા છે. 1998થી 2001 સુધી તેઓ કેન્દ્રીય નાણા મંત્રાલયના સલાહકાર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC લિમિટેડ, MCX લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન સહિત અનેક મોટા પદો પર કામ કર્યું છે.
RBI ગવર્નર પદ પરથી રાજીનામું
ઉર્જિત પટેલે 10 ડિસેમ્બર, 2018ના રોજ RBIના ગવર્નર પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પાછળનું કારણ સરકાર સાથેની નીતિગત અસહમતિ હોવાનું કહેવાયું હતું. તેમણે બેંકિંગ ક્ષેત્રમાં નોન-પર્ફોર્મિંગ લોન (NPL)નો સામનો કરવા માટે એક કડક માળખું રજૂ કર્યું હતું, જેના પર સરકાર સાથે મતભેદો હોવાનું મનાય છે.
'પૈસાના ઢગલા પર બેઠેલો સાપ'
ઉર્જિત પટેલના રાજીનામા બાદ પૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગના પુસ્તક ‘વી ઓલસો મેક પોલિસી’ માં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. ગર્ગના જણાવ્યા અનુસાર, 14 સપ્ટેમ્બર 2018ના રોજ એક આર્થિક સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્જિત પટેલને "પૈસાના ઢગલા પર બેઠેલો સાપ" ગણાવ્યો હતો. આ ટિપ્પણી ભારતીય અર્થતંત્રના કડક નિયમો અને બેંકિંગ ક્ષેત્રની નીતિઓને લઈને સરકાર અને RBI વચ્ચેના તણાવને દર્શાવે છે.
ઉર્જિત પટેલની IMFમાં આ નિમણૂક તેમની આંતરરાષ્ટ્રીય આર્થિક ક્ષેત્રમાં મજબૂત પકડ અને અનુભવને દર્શાવે છે.






