કોંગ્રેસ નેતા શશિ થરૂરની આગેવાનીમાં ભારતનું ડેલિગેશન અમેરિકા પહોંચ્યું છે. જ્યાં શશિ થરૂરે ઓપરેશન સિંદૂર હેઠળ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના ભાગરૂપે, આતંકવાદ સામે એક કડક સંદેશ આપ્યો, જેમાં પાકિસ્તાનને આતંકવાદી પ્રવૃત્તિઓને સતત સમર્થન આપવા બદલ ચેતવણી આપી. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટને સંબોધતા, થરૂરે પાકિસ્તાનને ચેતવણી આપી કે પાકિસ્તાને તેની છેલ્લી તક ગુમાવી દીધી છે. તેમણે આતંકવાદ સામે ભારતના સંયુક્ત વલણ પર ભાર મૂક્યો, એપ્રિલમાં ધાર્મિક રીતે પ્રેરિત પહેલગામ હુમલા પર ભારતનો પક્ષ મુક્યો. પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. જેના જવાબરૂપે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવી પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી.શશિ થરૂરે 9-11 ઝીરો પોઇન્ટ સ્મારકની મુલાકાત લીધી. જ્યાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવર પર આતંકી હુમલા બાદ 2977 લોકોએ જીવ ગુમાવ્યા હતા. થરૂરે ઝીરો પોઇન્ટ પર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને આતંકવાદ સામે વૈશ્વિક સહકાર અને કડક કાર્યવાહીની હાકલ કરી. શશિ થરૂરના પ્રતિનિધિમંડળનો હેતુ પાંચ દેશોમાં ભારતની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિને મજબૂત બનાવવાનો છે. તાજેતરની ભારતની કાર્યવાહી બાદ ભારત-પાકિસ્તાન તણાવમાં વધારો થયો છે. તેવામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના કાયમી ઇલાજ માટે ભારતે વૈશ્વિક સહકારની પ્રતિબદ્ધતા બતાવી છે.





