Minister Jitu Vaghani : અમદાવાદના સુભાષ બ્રિજમાં આવેલી તિરાડને કારણે તેને તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ મુદ્દે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે સુભાષ બ્રિજ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિગતવાર અહેવાલ માગ્યો છે અને તેઓ સતત સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.
'મુખ્યમંત્રીએ વિગતવાર રિપોર્ટ માંગ્યો'
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે બ્રિજમાં તિરાડ દેખાતા તરત જ અધિકારીઓએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તાત્કાલિક સુરક્ષા પગલા રૂપે બ્રિજને ઓછામાં ઓછાં પાંચ દિવસ માટે બંધ રાખવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. બ્રિજનું નિરીક્ષણ અને રિપેરિંગ અંગે ચર્ચા કરવામાં આવી છે તેમજ બ્રિજનું ટેકનિકલ ઈન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. બ્રિજના રીપેરીંગ અને રીસ્ટોરેશન તેમજ જરૂર પડે તો નવા બ્રિજ અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. તમામ જરૂરી ટેકનિકલ માહિતી મુખ્યમંત્રીના સ્તરે માંગવામાં આવી છે
25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રહેશે
અહેવાલો અને ટેકનિકલ તપાસને ધ્યાનમાં લેતાં સરકારએ સુભાષ બ્રિજને 25 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમય દરમિયાન રિપેરિંગ અને સુરક્ષા મૂલ્યાંકન અંગેની કામગીરી ચાલુ રહેશે





















