Aadhar Card Face Authentication: ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે એક નવું પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ પ્રક્રિયાઓને સરળ બનાવવા વધુ સારી સેવાઓ પૂરી પાડવા અને નાગરિકો માટે તેનો ઉપયોગ સરળ બનાવવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. આ સાથે સરકારે ખાનગી કંપનીઓને મોબાઇલ એપ્સમાં આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન કરવાની સત્તા આપી છે. અત્યાર સુધી ફક્ત સરકારી વિભાગો જ તેનો ઉપયોગ કરી શકતા હતા. જાણો તેમાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે અને તેનો શું ફાયદો થશે?
નવું પોર્ટલ લોન્ચ
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આધાર કાર્ડ સેવાને અપડેટ કરી છે. જેના માટે swik.meity.gov.in નામનું એક નવું પોર્ટલ લાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા સરકારી અને બિન-સરકારી સંસ્થાઓને આધાર વેરિફિકેશનની સુવિધા મળશે. ઉપરાંત જનતા આ પોર્ટલથી વધુ સારી સુવિધાઓ મેળવી શકશે. કોઈપણ લાયક સંસ્થા આ પોર્ટલ દ્વારા આધાર ચકાસણી માટે અરજી કરી શકે છે અને મંજૂરી મેળવી શકે છે.
શું છે નવો ફેરફાર?
સરકારે આધાર કાયદામાં સુધારો કર્યો છે, જેના પછી ખાનગી કંપનીઓને આધાર પ્રમાણીકરણની સુવિધા આપવામાં આવી રહી છે. અગાઉ આ સુવિધા ફક્ત સરકારી વિભાગો માટે જ ઉપલબ્ધ હતી. 31 જાન્યુઆરી, 2025ના રોજ કરવામાં આવેલા સુધારા પછી, આતિથ્ય, આરોગ્ય, ઈ-કોમર્સ, શિક્ષણ, ક્રેડિટ રેટિંગ જેવી સેવાઓ પણ આધાર વેરિફિકેશન દ્વારા ઉપલબ્ધ થશે.
ફેરફારનો શું ફાયદો?
આ ફેરફાર સાથે આધાર યૂઝર્સને e-KYC, પરીક્ષાઓ માટે રજિસ્ટ્રેશન અને અન્ય સેવાઓ માટે વારંવાર દસ્તાવેજો લાવવાની જરૂર રહેશે નહીં. આના દ્વારા કંપનીઓ સરળતાથી પોતાના કર્મચારીઓને ઓળખી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો તેની મંજૂરી પછી ફેસ વેરિફિકેશન દ્વારા ગમે ત્યારે અને ગમે ત્યાં બધી સુવિધાઓનો લાભ લઈ શકાય છે.





















