વિપક્ષે વિધાનસભામાં બોમ્બની ધમકીનો મામલો ઉઠાવ્યો
"જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બોમ્બની ધમકી મળે છે"
અધ્યક્ષે કહ્યું; "ગુજરાતીઓ કોઈપણ ધમકીથી ગભરાતા નથી"
Bomb Therat To Gujarat Vidhansabha : છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં રોજ બોમ્બની ધમકીઓ મળી રહી છે. અત્યાર સુધી સ્કૂલ, કોર્ટ, પાસપોર્ટ ઓફિસોને બોમ્બની ધમકી ભર્યા ઈમેલ આવતા હતા. જોકે, આજે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા એકાએક પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. આજે સવારે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા તંત્ર ચોંકી ઉઠ્યું હતું.
સમગ્ર મામલે મુખ્યમંત્રી અને ડેપ્યુટી.સીએમ સુધી પહોંચતા તેમણે તાત્કાલિક હાઈલેવલ તપાસના આદેશ આપ્યાં હતાં. વિધાનસભામાં બોમ્બની અફવા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને હાઈલેવલ બેઠક બોલાવાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ વિભાગના અધિકારીઓ પોલીસવડા, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં આવી રહેલા આ પ્રકારના મેઈલ સહિતના મુદ્દાની ચર્ચા થઈ હતી.
માહિતી મળતાથી સાથે સુરક્ષાના કારણોસર સરકાર દ્વારા તાત્કાલિક વિધાનસભા ગૃહમાંથી સૌ કોઈ સભ્યો અને અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે ગણતરીની પળોમાં જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. બે વાર વિધાનસભા ગૃહ અને સમગ્ર પરિસરનું પ્રોપર સિક્યોરિટી ચેકિંગ થયા બાદ ફરી ગૃહની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ કરાઈ હતી. પરંતું વિધાનસભા ગૃહમાં બોમ્બની ધમકીનો મુદ્દો ગાજ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ એક પછી એક કોમેન્ટ કરીને ગૃહનો માહોલ હળવાશભર્યો બનાવ્યો હતો.
વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો, ભયનો માહોલ સર્જવાનો આક્ષેપ:
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારએ બોમ્બની ધમકીનો મુદ્દો ગૃહમાં ઉઠાવતા જણાવ્યું કે, રાજ્યમાં શાળા, કોલેજ અને કોર્ટ બાદ હવે વિધાનસભામાં પણ ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી માંગી હતી. સાથે જ આ પ્રકારની ઘટનાઓમાં બેદરકારી મુદ્દે સરકાર પર આક્ષેપો કર્યા હતા.
ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ આ મુદ્દે ટિપ્પણી કરી કે ચૂંટણીના સમયમાં આવા ધમકીભર્યા ઈમેલ આવવાનું પ્રમાણ વધે છે. ગૃહમાં ટિપ્પણીઓથી હાસ્યનું વાતાવરણ ફેલાયું હતું.
બોમ્બની ધમકી જેવા ગંભીર મુદ્દા વચ્ચે વિધાનસભામાં ટિપ્પણીઓનો સિલસિલો શરૂ થયો, જેના કારણે ગૃહમાં હળવું વાતાવરણ સર્જાયું.
સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમિત ચાવડાના કાળા શર્ટ પર હળવી ટિપ્પણી કરી. અર્જુન મોઢવાડિયાએ અમિત ચાવડાના કાળા કલરના શર્ટ પર કોમેન્ટ કરી હતી કે, ‘અમિત ચાવડા વિરોધમાં કાળા કપડાં પહેરતાં જ હોય છે પણ તેઓને સારા લાગે છે.’ તો સામે અમિત ચાવડાએ પણ કોમેન્ટ કરી કે, ‘અર્જુન મોઢવાડિયાએ પણ કાળા કપડાં પહેરીને બહુ વિરોધ કર્યો જ છે.’ તો અર્જુન મોઢવાડિયાએ વળતી કોમેન્ટમાં જવાબ આપ્યો કે, ‘અમે કાળા કપડાં પહેરીને અનેક પ્રકારનો વિરોધ કર્યો છે. આ વાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ વચ્ચે કૂદી પડ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ કહ્યુંકે, ‘કાળા કપડાં પહેરો ત્યાં સુધી વાંધો નથી બીજું ન કરતા.’ ત્યારે ભાજપના ધારાસભ્યએ બેઠા બેઠા ગોપાલ ઈટાલિયાની કોમેન્ટનો જવાબ આપ્યો કે, ‘ગોપાલ ઈટાલિયાને તો જૂતું મારવાનો પણ અનુભવ છે.’
"ગુજરાતીઓ કોઈપણ ધમકીથી ગભરાતા નથી"
આ સમગ્ર કોમેન્ટ વચ્ચે અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ કોમેન્ટ કરી કે, ‘ચાલો સારું છે બધા હળવા મૂળમાં કોમેન્ટ કરે છે. આજે બોમ્બની ઘટનામા પણ ગુજરાત એક છે અને ધારાસભ્યોએ દાખવેલી એકતા બદલ અભિનંદન આપું છું. ગુજરાતીઓ કોઈપણ ધમકીથી ગભરાતા નથી. ભૂતકાળમાં અનેક આતંકવાદી ઘટનાઓ પણ બની છે આમ છતાં ગુજરાત એક રહ્યું છે.’ બૉમ્બની ધમકી અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપતા કહ્યું હતું કે, આજે સવારે જ બૉમ્બ થ્રેટનો મેઈલ આવ્યો હતો. જેના બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને DGP ને આ મુદ્દો ધ્યાને મૂક્યો હતો. 2 વખત વિધાનસભા ગૃહની ચકાસણી કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ચકાસણી કરવામાં આવી હતી. બૉમ્બ થ્રેટ અંગે રાજ્ય સરકાર તપાસ કરી રહી છે. કોઈની ધમકીથી ગુજરાત ભયભીત થાય તેવી સ્થિતિ નથી. ગુજરાત ધમકીઓથી કોઈ દી ઝૂક્યું નથી અને ઝુકશે પણ નહીં.
જાણો ધમકી ભર્યા ઇમેલમાં શું લખ્યું હતું?
ગુજરાત વિધાનસભા અને અમદાવાદની સ્કૂલોને ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો પંજાબી ભાષામાં ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જેમાં લખ્યું છે કે ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-CM પટેલ. કચ્છના બંદરે LPG ટેન્કર્સ મિસાઇલ હુમલો કરીશું.




















