ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં નવનીત બાલધિયાને માર મારવામાં આવ્યો હોવાના મામલે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાની ઘટનામાં જયરાજ આહીરનું નામ સામે આવવા છતાં શરૂઆતમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. સમાજના લોકો તેમજ આગેવાનો દ્વારા ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
નવનીત બાલધિયાને માન્યો આભાર
આ મામલાની ગંભીરતા ધ્યાને લઈને અંતે વિશેષ તપાસ ટીમ એટલે કે SITની રચના કરવામાં આવી અને સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. SIT ટીમ દ્વારા આશરે 18 દિવસ સુધી તપાસ હાથ ધર્યા બાદ મુખ્ય આરોપી જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ ભોગ બનનાર યુવક નવનીત બાલધિયાની પ્રતિક્રિયા સામે આવી છે.
'કાયદા દ્વારા પૂરતો ન્યાય મળશે'
નવનીત બાલધિયાએ ન્યાયની દિશામાં થયેલી આ કાર્યવાહી બદલ કોળી સમાજના તમામ સામાજિક અને રાજકીય આગેવાનો, સમાજના લોકો તેમજ કેસની તપાસ કરનાર SIT ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કાયદા દ્વારા તેને પૂરતો ન્યાય મળશે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે અને લોકો પોલીસ અને પ્રશાસનની આગામી કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.




















