Gopal Italia statement : વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર છત્રપાલસિંહ જાડેજા નામના વ્યક્તિ દ્વારા જામનગની સભામાં જૂતું ફેકાયું. જે બાદ આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ અને પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથો સાથ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી લખ્યું છે કે, મારા પર જૂતું ફેકનાર વ્યક્તિ પર હું કોઈ પણ પ્રકારની ફરિયાદ કે, FIR કરવાનો નથી.
'હું તે વ્યક્તિને દિલથી માફ કરું છું'
ગોપાલ ઈટાલિયાએ લખ્યું કે, 'જામનગરમાં જાહેર સભા દરમિયાન મારા પર હુમલો કરનાર વ્યક્તિ સામે FIR નોંધાવવાનો મારો કોઈ ઇરાદો નથી. હું તે વ્યક્તિને દિલથી માફ કરું છું અને ભગવાન તેને અને તેના પરિવારને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરું છું. જય કિસાન.''
'ભાજપના ઈશારે પોલીસ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો'
ગોપાલ ઈટાલીયાએ આ મામલે પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, 'ભાજપના ઈશારે પોલીસ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે. હું જયારે પ્રવચન આપી રહ્યો હતો ત્યારે પોલીસની મુવમેન્ટ અચાનક વધી ગઈ હતી. અલગ અલગ દિશાઓમાંથી પોલીસ જવાનો નજીક આવી ગયા હતા અને પછી મારા પર હુમલો થયો અને તુરતજ પોલીસ હુમલાખોરને એસ્કોર્ટ કરીને લઇ ગઈ'
'ગોપાલ ઈટાલીયા પર જૂતું ફેંકી મેં પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો'
પોલીસ અટકાયત બાદ હુમલાખોર છત્રપાલસિંહ જાડેજાનું વીડિયો નિવેદન સામે આવ્યું છે. તેમણે બદલાની ભાવના સાથે આ હુમલો કર્યો હોવાનું આ નિવેદન પરથી ફલિત થાય છે. છત્રપાલસિંહે કહ્યું કે, 'થોડા સમય પૂર્વે ગોપાલ ઇટાલીયાએ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો એ બદલો લેવા ગોપાલ ઈટાલીયા પર જૂતું ફેંકી મેં પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે'






