Surat-Bengal Connection in Election, 02 April 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના રણમેદાનમાં હવે ગુજરાતના સુરત શહેરની એન્ટ્રી થઈ છે. મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ હજારો કિલોમીટર દૂર સુરતથી એક મજબૂત વ્યૂહરચના તૈયાર કરી છે. સુરતમાં વર્ષોથી વસતા લાખો બંગાળી કારીગરો અને શ્રમિકો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે 'સુરત ભાજપ કાર્યાલય' અને 'સુરત બંગાળી સમાજ' દ્વારા સંયુક્ત રીતે એક મોટું અભિયાન છેડવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત હજારો મતદારોને સુરતથી સીધા બંગાળ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે હીરા ઉદ્યોગ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં કારીગરીનું કામ કરે છે. આ એક બહોળો શ્રમિક વર્ગ છે, જે બંગાળમાં મોટું વોટબેંક ધરાવે છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે ટ્રેનોમાં રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા શ્રમિકો વતન જઈ શકતા નથી, જેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ મતદારો માટે ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપને આશા છે કે, સુરતથી જનારા આ હજારો મતદારો બંગાળમાં જઈને પક્ષની તરફેણમાં મજબૂત માહોલ ઉભો કરશે.
4 સ્પેશિયલ ટ્રેનો: 5000 મતદારોને વિનામૂલ્યે મોકલાશે
આ અભિયાન હેઠળ કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનો દ્વારા અંદાજે 5000 જેટલા નોંધાયેલા મતદારોને કોઈપણ ચાર્જ લીધા વિના સુરતથી પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. આ સુવિધાનો હેતુ એ છે કે આર્થિક સંકડામણ કે ટિકિટની અછતને કારણે કોઈપણ બંગાળી મતદાર લોકશાહીના પર્વમાં ભાગ લેતા રહી ન જાય. આ મતદારો બંગાળ પહોંચીને ભાજપના 'ઈસ બાર મોદી સરકાર'ના સૂત્રને મજબૂત બનાવશે.
આ પણ વાંચો: "જે ઉમેદવાર જય શ્રીરામ બોલશે તેને મારા આશીર્વાદ છે" : "જેને 'જય શ્રી રામ' બોલવામાં તકલીફ હોય, તેનું 'જય શ્રી રામ' કરી નાખજો", ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ ભડકો
ચકાસણીમાં કડકાઈ: 1500 જેટલા ફોર્મ થયા રદ
આ સુવિધાનો લાભ માત્ર સાચા અને પાત્ર મતદારોને જ મળે તે માટે સુરત બંગાળી સમાજ દ્વારા અત્યંત કડક તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, દરેક ફોર્મની સાથે દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. જેમના વોટિંગ કાર્ડ અપડેટ નહોતા અથવા જેમના નામ મતદાર યાદીમાં જોવા મળ્યા નથી, તેવા અંદાજે 1200 થી 1500 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે. માત્ર વેલિડ આઈડી ધરાવતા મતદારોને જ આ યોજનામાં પ્રાધાન્ય અપાયું છે.
બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીનું નિવેદન
સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, "સુરતમાં રહેતા બંગાળી લોકો ત્યાંના શાસનથી કંટાળ્યા છે અને આ વખતે પરિવર્તન ઈચ્છે છે. અમે ફાઈલો તૈયાર કરી દીધી છે અને 18 તથા 24 તારીખ પહેલા બે તબક્કામાં આ મતદારોને રવાના કરવામાં આવશે. સુરતથી જનારા લોકો ત્યાં જઈને 'કમળ' ખીલવવાનું કામ કરશે."






