રાજસ્થાનના સીકર જિલ્લામાં તાજેતરમાં એક એવા લગ્ન યોજાયા જેની ચર્ચા આખા પંથકમાં થઈ રહી છે. કહેવાય છે કે ભાઈ-બહેનનો પ્રેમ અનમોલ હોય છે, પણ જ્યારે એક ભાઈ પોતાની બહેન પ્રત્યેનો સ્નેહ અને વહાલ વ્યક્ત કરે છે, ત્યારે તે પ્રસંગ યાદગાર બની જાય છે. આવો જ એક કિસ્સો સીકરના કુંડલપુર ગામમાં જોવા મળ્યો, જ્યાં એક NRI મામાએ પોતાના ભાણાના લગ્નમાં ₹1 કરોડનું મામેરું ભરીને સૌને અચંબિત કરી દીધા છે.
શું છે સમગ્ર મામલો?
કુંડલપુરના રહેવાસી ડૉ. મનોજના લગ્ન 11 માર્ચના રોજ ઝુનઝુનુના રહેવાસી ડૉ. અંજલિ સાથે નિર્ધારિત હતા. લગ્નના એક દિવસ પહેલા, એટલે કે 10 માર્ચના રોજ, પરંપરાગત રીતિ-રિવાજ મુજબ 'મામેરું' (મોસાળું) ભરવાની વિધિ યોજાઈ હતી. રાનોલી વિસ્તારની 'ભરથાવાળી કોઠી'ના યાદવ પરિવારના ત્રણ ભાઈઓ પોતાની બહેન મોહિની દેવીના ઘરે મામેરું લઈને પહોંચ્યા હતા.

મામેરામાં શું-શું અર્પણ કરાયું?
દુબઈમાં સ્થાયી થયેલા કૈલાશ યાદવ અને તેમના બે ભાઈઓ નારાયણ અને છોટેલાલ યાદવે ભેગા મળીને આ ભવ્ય મામેરું ભર્યું હતું. જેની વિગતો નીચે મુજબ છે. મામાએ રોકડ રકમ ₹51 લાખ રોકડા (500-500ની નોટના કુલ 102 બંડલ). ઝવેરાતમાં આશરે ₹21 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને અન્ય ભેટમાં મોંઘા કપડાં, ઘરવખરીની વસ્તુઓ અને અન્ય કિંમતી ભેટસોગાદો આપી હતી. આમ, રોકડ અને ભેટો મળીને કુલ આંકડો 1 કરોડ રૂપિયાની આસપાસ પહોંચ્યો હતો. જ્યારે રોકડા રૂપિયાથી ભરેલી થાળીઓ બહેન સામે ધરવામાં આવી, ત્યારે ત્યાં હાજર મહેમાનો જોતા જ રહી ગયા હતા.
પારિવારિક પૃષ્ઠભૂમિ અને વ્યવસાય
વરરાજા ડૉ. મનોજના ત્રણ મામા છે. જેમાં સૌથી મોટા મામા નારાયણ યાદવ અને સૌથી નાના મામા છોટેલાલ યાદવ ગામમાં જ રહીને પ્રોપર્ટીનો વ્યવસાય કરે છે. જ્યારે બીજા નંબરના મામા કૈલાશ યાદવ છેલ્લા ઘણા સમયથી પરિવાર સાથે દુબઈમાં સ્થાયી થયા છે અને ત્યાં પ્રોપર્ટી ડીલર તરીકે સફળ વ્યવસાય કરી રહ્યા છે. બીજી તરફ, વરરાજાના પિતા મદન ખાતોડિયા પલસાણામાં કપડાંનો વ્યવસાય ચલાવે છે.
માતા-પિતાને આપેલું વચન નિભાવ્યું
આટલું મોટું મામેરું ભરવા પાછળ માત્ર સંપત્તિનું પ્રદર્શન નહીં, પણ ભાવનાત્મક જોડાણ હતું. કૈલાશ યાદવે જણાવ્યું હતું કે મેં મારા માતા-પિતાને વચન આપ્યું હતું કે બહેનો માટે અમારી ક્ષમતા કરતાં પણ વધુ સહયોગ કરીશું. બહેન મોહિનીએ અમને ત્રણેય ભાઈઓને ખૂબ પ્રેમ આપ્યો છે. ભાણેજના લગ્નમાં યાદગાર મામેરું ભરવું એ અમારા ત્રણેય ભાઈઓનો સામૂહિક નિર્ણય હતો."

સમાજ માટે સકારાત્મક સંદેશ
વરરાજાના પિતા મદન ખાતોડિયાએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ માત્ર પૈસાની વાત નથી, પણ ભાઈ-બહેન અને મામા-ભાણેજના પવિત્ર સંબંધોનું પ્રતીક છે. આજના સમયમાં જ્યારે લોકો સંબંધો કરતા સંપત્તિને વધુ મહત્વ આપે છે, ત્યારે આ કિસ્સો સાબિત કરે છે કે દીકરીઓ અને બહેનોનું સ્થાન પરિવારમાં સર્વોપરી છે.




















