સુરત જિલ્લાના અરેઠના તડકેશ્વર ગામમાં એક ગંભીર અને ચિંતાજનક ઘટના બની જે ચર્ચાનો વિષય બન્યો છે. જે ભ્રષ્ટાચારનો પાણીમાં વહી જતો પુરાવો કહી શકાય તેવો છે, જેમાં નવી બનાવેલી પાણીની ટાંકી અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ટાંકીનો હજી સુધી ઉપયોગ શરૂ થયો ન હતો, તે પહેલા જ સમગ્ર ટાંકી જમીનદોસ્ત થઈ જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
પાણીની ટાંકી ધરાશાયી
મળતી માહિતી અનુસાર, આ પાણીની ટાંકીમાં 11 લાખ લીટરથી વધુ પાણી સંગ્રહ કરવાની ક્ષમતા હતી. ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન તેમાં આશરે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન જ ટાંકીનો ઢાંચો તૂટી પડતા મોટો અકસ્માત સર્જાયો હતો અને ભરેલું પાણી એકાએક આસપાસના વિસ્તારમાં વહી નીકળ્યું હતું.
ઉપયોગમાં લેતાં પહેલા જ ટાંકી જમીનદોસ્ત
આ ટાંકી સરકારની પાણી પુરવઠા વિભાગની યોજના અંતર્ગત બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવાના હેતુથી આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપયોગમાં લેતાં પહેલા જ થયેલા આ અકસ્માતે બાંધકામની ગુણવત્તા અને દેખરેખ સામે સવાલો ઊભા કર્યા છે. ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્તો થયા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ ત્રણેય મજૂરોની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
તપાસ હાથ ધરાઈ
ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ટાંકીના બાંધકામમાં કોઈ ખામી હતી કે ટેસ્ટિંગ દરમિયાન નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.





















