કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. બિલ પર ચર્ચાની શરૂઆત કરતા કિરેન રિજિજુએ કહ્યું, 'કુલ 97,27,772 અરજીઓ મેમોરેન્ડમ, વિનંતીઓ અને સૂચનોના રૂપમાં ઓનલાઈન પ્રાપ્ત થઈ છે. 284 પ્રતિનિધિમંડળોએ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા અને સૂચનો આપ્યા. જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ) દ્વારા અથવા સીધા મેમોરેન્ડમ દ્વારા, સરકારે તે બધાને કાળજીપૂર્વક ધ્યાનમાં લીધા છે. ઈતિહાસમાં અગાઉ ક્યારેય કોઈ બિલને આટલી મોટી સંખ્યામાં અરજીઓ મળી નથી.'
વકફ પ્રોપર્ટી પર બોલતા રિજિજુએ કહ્યું કે, 'જો વકફ બોર્ડ પાસે લાખો એકર જમીન અને લાખો કરોડની પ્રોપર્ટી છે તો તેનો ઉપયોગ દેશના ગરીબ મુસ્લિમો માટે કેમ નથી થઈ રહ્યો?' રિજિજુએ કહ્યું કે રેલ્વે અને આર્મીની જમીન પબ્લિક પ્રોપર્ટી છે, જેનો ઉપયોગ દેશ માટે થાય છે. તે કોઈની ખાનગી મિલકત નથી. તમને જણાવી દઈએ કે વક્ફ બોર્ડ પાસે રેલવે અને આર્મી પછી દેશની ત્રીજી સૌથી મોટી સંપત્તિ છે. આજે વક્ફ બોર્ડ દેશભરમાં લગભગ 8 લાખ 70 હજાર મિલકતોનું નિયંત્રણ કરે છે. આ મિલકતો લગભગ 9 લાખ 40 હજાર એકર જમીનમાં ફેલાયેલી છે. જેની અંદાજિત કિંમત 1 લાખ 20 હજાર કરોડ રૂપિયા છે. વિશ્વમાં સૌથી વધુ વક્ફ પ્રોપર્ટી ભારતમાં છે.
આપણા દેશના મુસ્લિમો ગરીબ કેમ છે?
કિરેન રિજિજુએ કહ્યું કે 'ભારતીય રેલ્વે પાસે ભારતમાં સૌથી વધુ જમીન છે. આ પછી ડિફેન્સ અને ત્રીજા નંબરે વક્ફ બોર્ડ આવે છે. હું તેને સુધારવા માંગુ છું. હજારો કિલોમીટરના રેલ્વે પાટા નાખવામાં આવ્યા છે. તેઓ કેટલીક રેલવે મિલકત છે. તે દેશની સંપત્તિ છે. સંરક્ષણ દેશનું રક્ષણ કરે છે, તેની મિલકત દેશની છે. તેમની જમીન દેશની છે. વકફ મિલકત ખાનગી મિલકત છે. વિશ્વમાં સૌથી વધુ વક્ફ પ્રોપર્ટી ભારતમાં છે. આવું કેમ છે? તમે 60 વર્ષથી સત્તામાં છો, વક્ફમાં વિશ્વની સૌથી વધુ સંપત્તિ છે, તો પછી આપણા દેશના મુસ્લિમો ગરીબ કેમ છે? મુસ્લિમોના કલ્યાણ માટે કેમ કોઈ કામ ન થયું?
વિરોધ પક્ષે વિરોધ વ્યક્ત કર્યો હતો
ગૃહમાં બિલ રજૂ થતાં જ વિરોધ પક્ષોએ વિરોધ શરૂ કર્યો હતો. કોંગ્રેસે બિલ સામે વાંધો વ્યક્ત કરતા આરોપ લગાવ્યો કે તેમને બિલની નકલ મોડી મળી, જેના કારણે તેમને સમીક્ષા માટે પૂરતો સમય મળ્યો નથી. કોંગ્રેસના નેતાઓએ ચર્ચા દરમિયાન કહ્યું કે સરકારે આ મહત્વપૂર્ણ બિલ ઉતાવળમાં રજૂ કર્યું છે અને વિપક્ષને તેના પર ચર્ચા કરવાની યોગ્ય તક આપવામાં આવી નથી. બિલની રજૂઆત પછી, ગૃહમાં હોબાળો જોવા મળ્યો હતો કારણ કે વિપક્ષી સાંસદોએ તેમની નારાજગી વ્યક્ત કરી હતી.






