વિજય માલ્યાએ વર્ષો પછી પોતાની ચુપ્પી તોડી છે અને રાજ શમાનીના પોડકાસ્ટ ‘Figuring Out’ પર ચાર કલાકની વાતચીતમાં તમામ મહત્વના આરોપો પર ખુલાસા કર્યા છે. તેમણે Kingfisher Airlinesના પતનથી લઈને તેમના વિદેશ જવાનો નિર્ણય, બેંકોની રિકવરી, ભારતીય બિઝનેસ સિસ્ટમ અને સૌથી ચોકાવનારો નિવેદન — કે તેઓ દેશ છોડતા પહેલા નાણામંત્રી અરુણ જેટલીને મળ્યા હતા... આ બધું સ્પષ્ટતા સાથે રજૂ કર્યું.
ચાલો પોડકાસ્ટના અમુક મહત્વના નિવેદનને એક પછી એક સમજીએ:
“હું ભાગ્યો નથી, હું પહેલાથી નક્કી કરેલી વિઝિટ પર ગયો હતો”
"મારા ભારત છોડવાનો દિવસ પહેલેથી નક્કી હતો. એમાં કોઈ પણ પ્રકારની છૂપાવટ નહોતી. હું અંગત કાર્યક્રમ માટે ભારત છોડીને ગયો હતો."
માલ્યાએ કટાક્ષભરી રીતે કહ્યું કે "ભાગી ગયો" એમ કહેવું બૌ અજ ખોટી વાત છે. તેમણે ન તો છુપાઈને દેશ છોડ્યો, ન તો પાસપોર્ટ છુપાવ્યો છે. તેઓએ એમ પણ દાવો કર્યો કે તેમનું ભારત છોડવું પહેલાંથી પ્લાન કરેલું એક વિઝિટ હતું અને તેમણે કાયદેસર રીતે એરપોર્ટથી વિદેશ જવાની યાત્રા કરી હતી.
“હું અરુણ જેટલીને મળ્યો હતો અને જણાવ્યું હતું કે હું જઈ રહ્યો છું”
"હું અરુણ જેટલીને સંસદમાં મળ્યો હતો અને આ બાબતે તેમને જાણ પણ કરી હતી કે હું લંડન જઈ રહ્યો છું. મેં એમને પુછ્યું કે શું બેંકો સાથે સેટલમેન્ટ શક્ય છે?"
આ ખુલાસાએ દેશભરમાં ચર્ચા જમાવી છે. તેઓ સંસદમાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીને મળ્યા હતા અને જણાવી પણ દીધું હતું કે તેઓ એક યાત્રા માટે દેશ છોડવા જઈ રહ્યા છે. આ વાતે સરકારના રોલ પર પણ પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે. માલ્યાએ દેશ છોડવાની વાત અરુણ જેટલીને કરી હોવા છતાં કેમ નાણામંત્રીએ આ વાતને ગંભીરતાથી નહોતી લીધી?
જેટલીએ 2018માં તો ઊલટું એમ કહ્યું હતું કે માલ્યા corridor encounter તરીકે સંક્ષિપ્ત મળ્યા હતા, અને કોઈ મંજૂરી કે વાતચીત પણ અમારા વચ્ચે નહોતી થઇ.
“મેં કદી એક રૂપિયો પણ પર્સનલ ઉપયોગ માટે લીધેલો નથી”
"કોઈ લોનમાંથી હું એક પૈસો પણ મારા personal useમાં લાવ્યો નથી."
માલ્યાએ એ પણ સ્પષ્ટ કહ્યું કે કિંગફિશર માટે જે લોન લેવાઈ, તે સંપૂર્ણપણે એરલાઈનના ખર્ચ, કર્મચારીઓના પગાર અને વિમાન ઉદ્યોગના ખર્ચ માટે હતી. તેમના personal use માટે નહીં.
“બેંકોને અમારી લોન કરતા વધુ પૈસા પાછા મળી ગયા છે”
"બેંકો ₹6,000 કરોડ માંગતી હતી, હવે ₹14,000 કરોડથી વધુ વસુલ થઈ ચૂક્યા છે."
તેમણે કહ્યું કે તેઓએ બેંકો સામે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે કે જ્યારે બેંકોને દોગણી રકમ પાછી મળી ગઈ છે, ત્યારે તેમની સામે કાર્યવાહી શું કામ જરૂરી છે?
“હું ભારત આવવા તૈયાર છું, જો ન્યાય મળશે”
"મારે કેવળ એટલું જોઈએ છે કે મને ન્યાય મળે અને માનવ અધિકાર સાથે મારી સાથે વ્યવહાર થાય."
માલ્યાએ કહ્યું કે તેઓ ભારત પરત આવવા ઈચ્છે છે, પણ તેઓને ભય છે કે ભારતમાં તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં નહિ આવે. U.K. કોર્ટ પણ ભારતની જેલ શરતોને ઈન્ટરનેશનલ માનવ અધિકારની અવગણના તરીકે ઠેહરાવી ચુકી છે.
“બિઝનેસ નિષ્ફળ જાય એ ગુનો નથી”
"મેં જોખમ ઉઠાવ્યું અને દુર્ભાગ્યે કિંગફિશર નિષ્ફળ ગઈ. પણ તે ચોરી નથી."
માલ્યાએ તેમના બિઝનેસની નિષ્ફળતા માટે ખેદ વ્યક્ત કર્યો, પણ એવું પણ કીધું કે બિઝનેસ ફેલ થવું ગુનો નથી. તેમણે કહ્યું કે જે વસ્તુ વિઝન અને જોખમ સાથે શરૂ કરી હતી, તે માટે હવે ચોરી અને ધોકાની છાપ લગાવવામાં આવી છે.
“Ease of Doing Business એ ભારતમાં માત્ર એક કાગળપર લખાયેલી વાત છે”
"મારે દરેક રાજ્યમાં અલગ-અલગ મુખ્યમંત્રી સાથે ‘સેટિંગ’ રાખવું પડતું હતું."
વિજય માલ્યાએ કહ્યું કે ભારતમાં બિઝનેસ કરવું સરળ નથી. મોડી મંજૂરી, રાજકીય દબાણ, વિવિધ કાયદાઓ, આ બધું મળીને ભારતની સિસ્ટમને વ્યવસાય વિરોધી બનાવે છે. તેમણે કહ્યું કે માત્ર પાર્ટી બદલવાથી સિસ્ટમ બદલાતી નથી.
વિજય માલ્યાની આ પોડકાસ્ટની ચર્ચાએ હવે માત્ર મીડિયામાં નહીં પરંતુ લોકોના મનમાં પણ નવી જ રીતે જગ્યા બનાવી છે. વર્ષો સુધી જેને ચોર કહેવામાં આવ્યો, આજ લોકો એના નિવેદનો સાંભળી રહ્યા છે અને મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં સપોર્ટ પણ આપી રહ્યા છે.
યુટ્યુબ કોમેન્ટ્સમાં અનેક લોકોએ લખ્યું છે કે “હવે વાત સમજાઈ”, “માલ્યાએ તો સાચી વાત કરી છે”, અને ઘણા લોકોએ તો એમ સુધી કહ્યું કે “માલ્યાને માફ કરવો જોઈએ”.
આ પોડકાસ્ટ પહેલા જે લોકો મૌન હતા, હવે તેવા લોકોએ પણ ખુલ્લેઆમ માલ્યાની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે. આ પોડકાસ્ટ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયો છે અને અનેક લોકોનું માનવું છે કે આખી સત્યકથા આજે બહાર આવી છે.
હવે જોવાનું છે કે લોકો, મીડિયા અને સરકાર – આ ચર્ચાને કેવી રીતે લે છે?

_e8f97cd1-5cf9-4947-b847-25f9ee927361.jpg)



















