Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલા જળબંબાકારની સ્થિતિમાંથી શહેરને બહાર લાવવા નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના 8થી વધુ સ્થળોએ ડી-વોટરિંગ પમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યારે 4 JCB, 6 ટ્રેક્ટર અને 140થી વધુ સફાઈ કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
નગરપાલિકાના જણાવ્યા મુજબ, ભારે વરસાદને કારણે અસાધારણ માત્રામાં પાણીની આવક થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. પાણીનો ઝડપી નિકાલ થાય અને જનજીવન સામાન્ય બને તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ રૂ. 50 લાખથી વધુ ખર્ચ
ચીફ ઓફિસરે જણાવ્યું કે ચોમાસા પહેલાં ડ્રેનેજ અને સફાઈ સહિતની પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ અત્યાર સુધીમાં રૂ. 50 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે કેટલાક બિલો હજુ બાકી હોવાથી કુલ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.
નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા પોતાની રીતે ખોલવાનો પ્રયાસ ન કરે, કારણ કે તેનાથી અકસ્માત સર્જાઈ શકે છે. તંત્રને સહકાર આપીને સુરક્ષા જાળવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.






