Mujpur Gambhira Bridge collapsed: ગુજરાતમાં ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના આજે એટલે કે, 9 જુલાઈ 2025ના રોજ બે કટકા થઈ ગયા છે. આ દુર્ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો ગાડી સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પ્રાથમિક તબક્કે બે વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ હતી પરંતુ ધીરે ધીરે મોતનો આંકડો વધતો ગયો અને સાંજ સુધી મૃત્યુઆંક 13 પર પહોંચ્યો હતો
45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ધરાશાયી
વર્ષ 1985માં નિર્માણ પામેલો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. જો કે, આ બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પણ વધુ હતી. કારણ કે, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રની પરિવહન સેવાને જોડતો આ મહત્વનો બ્રિજ છે
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
સમગ્ર ઘટનાને પગલે બચાવ ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે તેમજ નદીમાં પડેલા વાહનોમાં કેટલા લોકો સવાર હતા, જેના પગલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
2 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
દુર્ઘટનામાં 2 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે તેમજ ટ્રક નીચે દબાયેલી ઇકો કારને પણ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. અત્રે જણાવીએ કે, આ ઘટનાની જાણ થતાં સૌથી પહેલા સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા, સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે, કેટલા લોકોના મોત થયા, તે અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.




















