વડોદરા: વડોદરાની મધ્યમાં આવેલી અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. હોસ્પિટલના ENT (કાન-નાક-ગળા) વિભાગના નિષ્ણાત તબીબોએ પોતાની અસાધારણ કુશળતાનો પરિચય આપીને ભરૂચની એક 13 વર્ષની કિશોરીના ગળામાં ફસાયેલી અત્યંત જોખમી અને ધારદાર સેફ્ટી પિન સફળતાપૂર્વક બહાર કાઢી છે. આ જટિલ ઓપરેશન દ્વારા તબીબોએ બાળકીને મોતના મુખમાંથી ઉગારીને નવું જીવન પ્રદાન કર્યું છે. સામાન્ય રીતે શ્વાસનળીમાં કોઈ પણ બાહ્ય વસ્તુ ફસાઈ જવી એ અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ જ્યારે વસ્તુ સેફ્ટી પિન જેવી ધારદાર હોય ત્યારે જોખમ અનેકગણું વધી જાય છે. ભરૂચની આ બાળકી અકસ્માતે ખુલ્લી સેફ્ટી પિન ગળી ગઈ હતી, જે સીધી તેની શ્વાસનળીમાં જઈને ખૂંપી ગઈ હતી. બાળકીની હાલત કફોડી બનતા તેને તાત્કાલિક વડોદરા ખસેડવામાં આવી હતી, જ્યાં SSGના તબીબોએ દેવદૂત બનીને તેની સારવાર કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાની રહેવાસી ૧૩ વર્ષની કિશોરી રમત-રમતમાં અથવા અકસ્માતે એક ધારદાર સેફ્ટી પિન ગળી ગઈ હતી. કમનસીબે આ પિન અન્નનળીના બદલે શ્વાસનળીમાં ઉતરી ગઈ હતી. પિન શ્વાસનળીમાં ફસાતા જ બાળકીને શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ અને ગળામાં અસહ્ય પીડા થવા લાગી હતી. સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર બાદ બાળકીની ગંભીર હાલત જોઈ તેને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી.

ખુલ્લી સેફ્ટી પિન અને તબીબો સામેનો પડકાર
બાળકી હોસ્પિટલ પહોંચતા જ ENT વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. આનંદ પલાસ અને તેમની નિષ્ણાત ટીમ તુરંત હરકતમાં આવી હતી. એક્સ-રે રિપોર્ટમાં જે દ્રશ્ય સામે આવ્યું તેણે તબીબોને પણ ચિંતામાં મૂકી દીધા હતા. સેફ્ટી પિન શ્વાસનળીમાં 'ખુલ્લી' હાલતમાં હતી અને તેની અણીદાર ધાર અંદરની દીવાલમાં ખૂંપી ગઈ હતી. આ પિન કાઢતી વખતે સહેજ પણ બેદરકારી કે ધ્રુજારી બાળકીના ફેફસાં અથવા લોહીની મુખ્ય નળીઓને ચીરી શકે તેમ હતી, જે તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકતું હતું.
આધુનિક એન્ડોસ્કોપી ટેકનિકથી સફળ ઓપરેશન
તબીબોની ટીમે બાળકીના જીવનું જોખમ ઘટાડવા માટે કોઈ પણ ચીરફાડ વગર અત્યંત જટિલ એન્ડોસ્કોપી ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. ડો. આનંદ અને તેમની ટીમે અત્યંત ધીરજ અને સાવધાનીપૂર્વક એન્ડોસ્કોપી સાધનોનો ઉપયોગ કરીને ખુલ્લી પિનને અંદર જ સુરક્ષિત રીતે પકડી લીધી હતી. કોઈપણ આંતરિક ઈજા પહોંચાડ્યા વગર તે ધારદાર પિનને બહાર ખેંચી કાઢવામાં આવી હતી. સફળ ઓપરેશન બાદ હવે બાળકીની હાલત સંપૂર્ણપણે સ્થિર છે અને તે ભયમુક્ત છે.

તબીબોની વાલીઓને 'લાલબત્તી' સમાન અપીલ
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના એન્ટિ (ENT) વિભાગના નિષ્ણાત ડો. આનંદ પલાસે આ ચોંકાવનારા કિસ્સા બાદ વાલીઓ અને સામાન્ય નાગરિકો માટે લાલબત્તી સમાન મહત્વની ચેતવણી જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઘણીવાર ગૃહિણીઓ, દરજીકામ કરતા લોકો કે વિદ્યાર્થીઓ ઉતાવળમાં કપડાં ઠીક કરતી વખતે સેફ્ટી પિન મોઢામાં રાખવાની ભૂલ કરે છે, જે અત્યંત જોખમી છે. આ આદતને કારણે વાત કરતી વખતે કે અચાનક ઉધરસ આવતા પિન સીધી અન્નનળી કે શ્વાસનળીમાં ઉતરી જવાનું ભારે જોખમ રહે છે. ખાસ કરીને બુરખો કે હિજાબ પહેરતી બહેનો જ્યારે પિન સેટ કરવા માટે તેને મોઢામાં દબાવી રાખે છે ત્યારે આવી જીવલેણ દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. વધુમાં, ડોક્ટરે નાના બાળકોના વાલીઓને ખાસ અપીલ કરી છે કે તેઓ બાળકો પર સતત દેખરેખ રાખે. નાના બાળકો ઘણીવાર જમીન પર પડેલા સિક્કા, બટન, સેફ્ટી પિન કે રમકડાના નાના ભાગો કુતૂહલવશ મોઢામાં નાખતા હોય છે, જે તેમના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. પિન જેવી અણીદાર વસ્તુ હંમેશા પિન-કુશન અથવા સુરક્ષિત ડબ્બામાં જ રાખવી જોઈએ જેથી આવી આકસ્મિક ઘટનાઓથી બચી શકાય.





