Vadodara Accident: વડોદરા શહેરમાં નબીરાઓના બેફામ ડ્રાઈવિંગનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના વ્યસ્ત ગણાતા અમિતનગર સર્કલ પાસે મોડી રાત્રે એક સગીર કારચાલકે પોતાનું સ્ટીયરિંગ પરનું નિયંત્રણ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લીધા હતા. હોન્ડા સિટી કાર લઈને નીકળેલા આ સગીરે પૂરઝડપે વાહન હંકારી ચાર જેટલા લોકોને ટક્કર મારી હતી, જેને પગલે ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોેકે, મહત્વની બાબત એ છે કે, વડોદરામાં રક્ષિત કાંડ જેવી હચમચાવનારી ઘટનાને હજુ માંડ એક વર્ષ પૂર્ણ થયું છે અને હોળીના તહેવારની હજુ હમણાં જ પૂર્ણાહુતિ થઈ છે, ત્યાં ફરી એકવાર આવી ઘટનાએ તંત્ર અને નાગરિકોની ઉંઘ ઉડાડી દીધી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ શહેરમાં સગીર વયના બાળકોને વાહન આપતા વાલીઓ સામે ફરી એકવાર લાલબત્તી ધરી છે.
અમિતનગર સર્કલ પાસે પૂરઝડપે કારે સર્જ્યો અકસ્માત
મોડી રાત્રે જ્યારે શહેરના રસ્તાઓ પ્રમાણમાં શાંત હતા ત્યારે અમિતનગર સર્કલ પાસે હોન્ડા સિટી કારના ટાયરના ઘસાવવાનો અને ધડાકાનો અવાજ સંભળાયો હતો. એક સગીર વયના ચાલકે પૂરઝડપે કાર હંકારીને ત્રણથી ચાર લોકોને જોરદાર ટક્કર મારી હતી. અચાનક બનેલી આ ઘટનાને કારણે માર્ગ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં જોઈને સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો, જોકે પ્રાથમિકતાના ધોરણે તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

પોલીસની ત્વરિત કાર્યવાહી: સગીર ચાલક કસ્ટડીમાં
અકસ્માતની જાણ થતા જ કારેલીબાગ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે સર્જાયેલા ભારે ટ્રાફિક જામને હળવો કરવા પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર હોન્ડા સિટી કારને કબજે લીધી છે અને સગીર ચાલકની અટકાયત કરી તેને કારેલીબાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સગીર પાસે ચાવી કઈ રીતે આવી અને શું તેના વાલી આ અંગે જાણતા હતા.
રક્ષિત કાંડની યાદ તાજી થઈ: તંત્ર ફરી હરકતમાં
વડોદરામાં બનેલી આ ઘટનાએ ગત વર્ષના કુખ્યાત 'રક્ષિત કાંડ'ની યાદ તાજી કરાવી દીધી છે. તે સમયે પણ પૂરઝડપે આવતી કારે નિર્દોષોના જીવ લીધા હતા. આ વખતે મોટી દુર્ઘટના ટળી હોવા છતાં, હોળી-ધૂળેટીના તહેવાર બાદ તરત જ બનેલી આ ઘટનાએ પોલીસ તંત્રને પણ દોડતું કરી દીધું છે. શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ અને સગીર ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ ચલાવવાની માંગ ફરી એકવાર પ્રબળ બની છે.

કારેલીબાગ પોલીસ દ્વારા ઊંડી તપાસ
હાલમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સગીર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે જેથી કારની વાસ્તવિક ગતિ અને અકસ્માતની ચોક્કસ કડીઓ મેળવી શકાય. ઇજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહીના સંકેત આપી રહી છે.















