વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી મિત્રતાની એક એવી કરુણ ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જી દીધો છે. બિહારમાં રહેતા એક મિત્રના આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ વડોદરામાં રહેતા તેના બે જિગરી મિત્રોએ પણ માત્ર 24 કલાકના અંતરે પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. ત્રણ યુવાનોના મોતથી તેમના પરિવારજનો, મિત્રો અને સ્થાનિકોમાં ભારે દુઃખ અને આક્રંદ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, મકરપુરાની જશોદા કોલોનીમાં રહેતા 26 વર્ષીય રવિશંકરકુમાર રાજકુમાર પ્રસાદ મૂળ બિહારના રહેવાસી હતા અને વડોદરામાં નોકરી કરતા હતા. પાંચ દિવસ અગાઉ બિહારમાં રહેતા તેમના એક નજીકના મિત્રના આત્મહત્યાના સમાચાર મળતા તેઓ ગંભીર માનસિક આઘાતમાં આવી ગયા હતા. પરિવારજનો અને મિત્રોના જણાવ્યા અનુસાર, મિત્રના મોત બાદ તેઓ સતત ઉદાસ રહેતા હતા અને સોશિયલ મીડિયા પર પણ ભાવનાત્મક પોસ્ટ શેર કરતા હતા.
સોશિયલ મીડિયા પોસ્ટ બાદ લીધો અંતિમ નિર્ણય
ગુરુવારે બપોરે મકરપુરા રેલવે સ્ટેશન નજીક એક યુવક ટ્રેનની અડફેટે આવતાં મોતને ભેટ્યો હોવાની માહિતી રેલવે પોલીસને મળી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ રવિશંકરકુમાર તરીકે થઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલ્લી પોસ્ટમાં મિત્ર પ્રત્યેની લાગણી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, "તેરે પાસ બહુત જલદી આતા હું. સબ લોગ મુજે માફ કર દેના. મેરી માતા કા ખયાલ કોન રખેગા."
પોલીસના જણાવ્યા મુજબ, મિત્રના વિયોગનો આઘાત સહન ન કરી શકતાં તેમણે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ઓઢવમાં કચરાના ઢગલામાં ભીષણ આગ: દૂર દૂર સુધી દેખાયો ધુમાડો, 1 વ્યક્તિનું મોત
બીજા મિત્રએ પણ કર્યો આપઘાત
રવિશંકરના મોતના સમાચાર હજુ પરિવાર અને મિત્રવર્તુળ માટે આઘાતરૂપ હતા, ત્યાં જ બીજા દિવસે વધુ એક દુઃખદ ઘટના સામે આવી હતી. શુક્રવારે સવારે જશોદા કોલોનીમાં રહેતા 23 વર્ષીય વિકાસ દિનેશભાઈ પ્રસાદે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે વિકાસ અને રવિશંકર બંને ખૂબ જ નજીકના મિત્રો હતા અને મકરપુરા GIDC વિસ્તારમાં સાથે જ નોકરી કરતા હતા. રવિશંકરના અચાનક મોતના સમાચારથી વિકાસ ભારે દુઃખમાં ડૂબી ગયો હતો. પોતાના નજીકના મિત્રને ગુમાવ્યાનો આઘાત સહન ન કરી શકતાં તેણે પણ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે.
ત્રણ પરિવારો પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
આ સમગ્ર ઘટનામાં સૌથી કરુણ પાસું એ છે કે એક જ મિત્રવર્તુળના ત્રણ યુવાનોના મોતથી ત્રણ પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જશોદા કોલોનીમાં રહેતા લોકો માટે પણ આ ઘટના ભારે આઘાતજનક બની છે. સ્થાનિકોનું કહેવું છે કે ત્રણેય મિત્રો એકબીજાની ખૂબ નજીક હતા અને હંમેશા સાથે જ જોવા મળતા હતા.
પોલીસ હાલ બંને બનાવોમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે. અધિકારીઓ સોશિયલ મીડિયા પોસ્ટ, પરિવારજનોના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહ્યા છે.
ઓનલાઈન ઓર્ડર કરનારાઓ સાવધાન!: સુરતમાં બ્રાન્ડેડ સામાનના નામે ચાલતા કૌભાંડનો થયો પર્દાફાશ
માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતાજનક સંકેત
આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે નજીકના વ્યક્તિના મોત અથવા ગંભીર આઘાત બાદ માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવા સંજોગોમાં પરિવારજનો, મિત્રો અને સમાજે સંવેદનશીલતા દાખવીને માનસિક સહારો પૂરો પાડવો અત્યંત જરૂરી બની જાય છે.
જો કોઈ વ્યક્તિ સતત નિરાશા, હતાશા અથવા આત્મહત્યાના વિચારો વ્યક્ત કરતો હોય તો તેને એકલા ન છોડવો અને તાત્કાલિક માનસિક આરોગ્ય નિષ્ણાતોની મદદ મેળવવી જોઈએ.





