અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી જય કેમિકલ કંપનીની નજીક કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, કચરાના ઢગલામાં લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ ફાયર કર્મચારીઓએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
આગ બુઝાવ્યા બાદ મૃતદેહ મળ્યો
આગ પર કાબૂ મેળવવાની કામગીરી દરમિયાન કચરાના ઢગલામાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ 42 વર્ષીય પ્રતાપ ઠાકોર તરીકે થઈ છે. મૃતદેહ મળતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક આગની ઘટનાનો ભોગ બન્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ગુજરાતમાં પેરામેડિકલનો ક્રેઝ ઘટ્યો?: 56k બેઠકો સામે માત્ર 27k વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
પોલીસ તપાસ શરૂ
ઘટનાને લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું અને મૃતક ઘટના સમયે ત્યાં કેવી રીતે પહોંચ્યો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ તેમજ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આગ લાગવા પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ ઓઢવ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ અને ફાયર વિભાગના અહેવાલ બાદ ઘટનાના વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.






