વિશ્વવિખ્યાત પુરી રથયાત્રાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયની સીધી અસર હવે ગુજરાતના વડોદરા-દાહોદ રેલવે રૂટ પર જોવા મળશે. રેલવે તંત્રે વડોદરા-દાહોદ-વડોદરા મેમુ પેસેન્જર ટ્રેન (નં. 69233/69234)ને 7 જુલાઈથી 2 ઓગસ્ટ, 2026 સુધી કુલ 26 દિવસ માટે અસ્થાયી રીતે રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી રોજિંદી મુસાફરી કરતા હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને અન્ય દૈનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
રેલવેના નિર્ણય મુજબ, ઓડિશાના પુરી ખાતે યોજાનારી રથયાત્રા દરમિયાન વધતી મુસાફર ભીડને પહોંચી વળવા માટે પૂર્વ તટીય રેલવેને વધારાના મેમુ રેકની જરૂરિયાત ઉભી થઈ છે. તેના ભાગરૂપે વડોદરા-દાહોદ રૂટ પર દોડતી મેમુ રેકને પુરી ખાતે ફાળવવામાં આવી છે. પરિણામે આ રૂટ પર મેમુ ટ્રેનનું સંચાલન આગામી 26 દિવસ સુધી બંધ રહેશે.
આ પણ વાંચો: જસદણ હોસ્ટેલમાં બાળકીના મોત મામલે આહીર સમાજમાં રોષ : ભાવનગરમાં મૌન રેલી યોજી ઉચ્ચસ્તરીય તપાસની માંગ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
દૈનિક મુસાફરો માટે જીવનદોરી સમાન ટ્રેન
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત વચ્ચે દૈનિક અવરજવર કરતા હજારો લોકો માટે સૌથી મહત્વપૂર્ણ જાહેર પરિવહન સેવા ગણાય છે. દાહોદ, ગોધરા, હાલોલ અને વડોદરા વચ્ચે નોકરી માટે આવતા-જતા કર્મચારીઓ, કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, નાના વેપારીઓ તેમજ સારવાર માટે જતા દર્દીઓ માટે આ ટ્રેન સૌથી સસ્તી અને વિશ્વસનીય મુસાફરીનું સાધન છે.
ખાસ કરીને લીમખેડા, પીપલોદ, સંતરોડ, ડેરોલ, ખરસાલિયા, ચાંપાનેર રોડ અને સમલાયા જેવા નાના સ્ટેશનો પર રહેતા મુસાફરો માટે આ ટ્રેન દૈનિક જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે.
નાના સ્ટેશનોના મુસાફરો સૌથી વધુ પ્રભાવિત
આ રૂટ પર અન્ય એક્સપ્રેસ ટ્રેનો ઉપલબ્ધ હોવા છતાં, તે મોટા સ્ટેશનો પર જ રોકાણ કરતી હોવાથી મધ્યવર્તી સ્ટેશનોના મુસાફરોને તેનો લાભ મળતો નથી. પરિણામે મેમુ ટ્રેન બંધ રહેવાના સમયગાળા દરમિયાન નાના સ્ટેશનોના મુસાફરોને ખાનગી વાહનો અથવા બસ સેવાનો સહારો લેવો પડશે.
તેના કારણે મુસાફરીનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી જશે. સાથે જ બસ સેવા દરેક સમયસર ઉપલબ્ધ ન હોવાના કારણે મુસાફરીનો સમય પણ વધવાની શક્યતા છે, જે ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જી શકે છે.
આ પણ વાંચો: વડોદરામાં આચારસંહિતા લાગુ : માંજલપુર પેટાચૂંટણીની ને કારણે VMC ના 8 વિકાસકાર્યો અટક્યા
વૈકલ્પિક વ્યવસ્થા અંગે મુસાફરોમાં અસંતોષ
રેલવે વિભાગે મુસાફરોને અન્ય ઉપલબ્ધ ટ્રેનો અથવા વૈકલ્પિક પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. જોકે, દૈનિક મુસાફરોનું માનવું છે કે મેમુ ટ્રેનનો કોઈ અસરકારક વિકલ્પ ઉપલબ્ધ નથી. મુસાફરોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે જો મેમુ સેવા લાંબા સમય માટે બંધ રાખવી પડે તો રેલવે દ્વારા વૈકલ્પિક પેસેન્જર ટ્રેન અથવા વિશેષ સેવા શરૂ કરવામાં આવે, જેથી રોજિંદા મુસાફરોને પડતી મુશ્કેલીમાં રાહત મળી શકે.
પુરી રથયાત્રા માટે વિશેષ આયોજન
પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે. આ વધારાની મુસાફર ભીડને પહોંચી વળવા માટે ભારતીય રેલવે વિવિધ ઝોનમાંથી ટ્રેન રેક અને સંસાધનોની પુનઃફાળવણી કરે છે. આ જ પ્રક્રિયાના ભાગરૂપે વડોદરા-દાહોદ રૂટની મેમુ રેકને પણ પુરી ખાતે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.





