આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે અને આશરે 2.45 લાખથી વધુ મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે. આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ પેટાચૂંટણી યોજવાની ફરજ પડી છે. આ દરમિયાન ગોવિંદ પરમારના પુત્ર અને ઉમરેઠમાં ભાજપ ઉમેદવાર હર્ષદ પટેલે પોતાનો કિંમતી મત આપ્યો છે. ત્યાર બાદ મીડિયા સાથે વાત કરતાં પોતાના પિતા સ્વ. ગોવિંદ પરમાર વિશે જણાવ્યું અને યુવાનથી લઈ વૃદ્ધ સુધી તમામને મતદાન કરવા માટે અપીલ કરી.
મીડિયા સાથે વાત કરતાં હર્ષદ પરમારે જણાવ્યું કે, "આ એક લોકશાહીનો પર્વ છે અને હું અમારા ઉમરેઠ વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો અને યુવાન મિત્રોને એક અપીલ કરું છું કે આ એક લોકશાહીના પર્વને સારી રીતે ઉજવે અને સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે."
પ્રચાર દરમિયાન પિતાને યાદ કર્યા
પિતા ગોવિંદ પરમારને યાદ કરતાં હર્ષદભાઈ પરમાર બોલ્યા, "મને અનુભવ એવા થયા છે કે હું પ્રચાર અર્થે જ્યાં પણ ગયો, ત્યાં મને જાણવા મળ્યું કે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમાર કેટલા ઉદાર મનનાં હતા. ગામે-ગામ મને પ્રજાજનોના એટલા આશીર્વાદ અને જન-પ્રતિસાદ મળ્યા છે કે આજે પણ એવો અહેસાસ થાય છે કે જાણે મારા પિતાશ્રી આપણી વચ્ચે જ ઉપસ્થિત છે."
આ પણ વાંચો: "ખાનદાન જોઈને મતદાન કરો" : પરસોત્તમ રૂપાલાએ વરાછામાં સભા ગજવી, વિપક્ષને આડેહાથ લીધું
મતદારો માટે સંદેશ
મતદારો માટે સંદેશ આપતા તેમણે જણાવ્યું કે, "મેં જેમ પહેલા કીધું એમ, આ લોકશાહીનો પર્વ છે અને હું ઉમરેઠ વિધાનસભાની જનતા જનાર્દનને આપના સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી એ સંદેશ આપવા માંગુ છું કે સૌ સાથે મળીને ઉત્સાહપૂર્વક મતદાન કરે."





