Ujjain Moharram Blast Case: મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહર્રમના જુલૂસ દરમિયાન ક્રેનની મદદથી હવામાં લટકાવવામાં આવેલી વાનમાં થયેલા વિસ્ફોટનો મામલો હવે મધ્ય પ્રદેશ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી હતી. હવે આ સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અથવા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. માત્ર તપાસની માંગ જ નહીં પરંતુ ભવિષ્યમાં ધાર્મિક જુલૂસ દરમિયાન આવી જોખમી ઘટનાઓ અટકાવવા માટે રાજ્ય સરકારને કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. પ્રાથમિક સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને એક સપ્તાહમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ
આ સમગ્ર મામલે હિંદુ જાગરણ મંચના જિલ્લા સંયોજક સુમિત હાર્દિયાએ ઇન્દોર સ્થિત મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજદાર તરફથી રજૂઆત કરતા વકીલ જયેશ ગુરનાણીએ દલીલ કરી હતી કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની સ્વતંત્ર અને પારદર્શક તપાસ જરૂરી છે, જેથી સમગ્ર સત્ય બહાર આવી શકે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, જો આ ઘટના વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળના ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે, તો તેની તપાસ NIAને સોંપવામાં આવે. જો તે શક્ય ન હોય તો કેસની તપાસ CBI દ્વારા કરાવવી જોઈએ. અરજદારનું કહેવું છે કે, ઘટનાની પ્રકૃતિ અને તેના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરની તપાસ જરૂરી છે.
ધાર્મિક જુલૂસ માટે SOP બનાવવાની માંગ
જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારને ભવિષ્યમાં ધાર્મિક જુલૂસ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવાની પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં સુરક્ષા ધોરણો, પરવાનગી પ્રક્રિયા, જોખમ વ્યવસ્થાપન અને જાહેર સલામતી માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવાની રજૂઆત કરવામાં આવી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.
આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું નિરીક્ષણ કરતા ગડકરી મંદસૌર પહોંચ્યા : સ્થાનિકોએ રજૂ કરી મોટી સમસ્યાઓ
'મોક ડ્રિલ' એંગલની પણ તપાસ કરવાની માંગ
અરજદારે કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરી છે કે તપાસ એજન્સીઓએ આ સમગ્ર ઘટના કોઈ પ્રકારની કથિત 'મોક ડ્રિલ'નો ભાગ તો નહોતી ને તેની પણ તપાસ કરવી જોઈએ. તેમના મતે ઘટનાના તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ થશે તો જ હકીકત સામે આવશે.
હાઈકોર્ટે સરકાર પાસે માગ્યો જવાબ
મામલાની પ્રાથમિક સુનાવણી દરમિયાન મધ્ય પ્રદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ દાખલ કરવા અને જરૂરી સૂચનાઓ મેળવવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે. હવે આગામી સુનાવણી દરમિયાન સરકારનો જવાબ અને તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ આગળની કાર્યવાહી અંગે નિર્ણય કરશે.
આ પણ વાંચો: ટ્રેનના ફર્સ્ટ AC કોચને 'હનીમૂન સ્યુટ'ની જેમ સજાવવાનો વીડિયો વાયરલ : રેલવેનો કડક એક્શન
શું હતો સમગ્ર મામલો?
23 અને 24 જૂનની મધ્યરાત્રિ દરમિયાન ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહર્રમનો જુલૂસ નીકળ્યો હતો. આ દરમિયાન એક વાનને ક્રેનની મદદથી અંદાજે 40 ફૂટની ઊંચાઈએ લટકાવવામાં આવી હતી. ત્યારબાદ વાનમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ બાદ વાનના કાચ અને લોખંડના ટુકડા નીચે હાજર લોકો તરફ પડ્યા હતા, જેના કારણે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા.
ત્રણ આરોપીઓની ધરપકડ, NSA હેઠળ કાર્યવાહી
ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરીને શોએબ, ઝાહિદ અને તપસીલ ઉર્ફે તસ્લીમ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ઘટનાને ગંભીર ગણાવી ત્રણેય સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ભેરૂગઢ સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલો હાઈકોર્ટમાં વિચારાધીન છે અને આગામી સુનાવણીમાં રાજ્ય સરકારના જવાબ બાદ કેસની દિશા વધુ સ્પષ્ટ થઈ શકે છે.






