દિવાળી અને છઠ પર્વ પહેલાં વતન જવા ઉત્સુક હજારો મુસાફરોના કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. રોજિંદા વધતા દબાણને જોતા રેલવે તંત્રે મુસાફરો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. મોબાઈલ મૂવિંગ ટિકિટિંગ સેવાનો શુભારંભ.
આ સેવાની મદદથી મુસાફરોને હવે જનરલ ટિકિટ માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે, કારણ કે બુકિંગ ક્લાર્કો સીધા હોલ્ડિંગ એરિયા અને પ્લેટફોર્મ સુધી જઈ મુસાફરોને ટિકિટ આપે છે.
મોબાઈલ મૂવિંગ ટિકિટિંગ સેવા શું છે?
ઉધના સ્ટેશને હાલ છ “TVS મોબાઈલ UTS” ડિવાઈસ ફાળવવામાં આવી છે.
આ પોર્ટેબલ મશીન દ્વારા બુકિંગ ક્લાર્કો મુસાફરો સુધી પહોંચી જનરલ તેમજ પ્લેટફોર્મ ટિકિટ ઈસ્યુ કરી રહ્યા છે.
સેવા શરૂ થયાના પ્રથમ જ દિવસે 1500 મુસાફરોને મોબાઈલ ડિવાઈસથી ટિકિટ આપવામાં આવી.
રેલવે અધિકારીઓ મુજબ, આ સેવા ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોની સરળતા માટે લાભદાયી સાબિત થશે.
આવનારા દિવસોમાં વધુ ડિવાઈસ ઉમેરવામાં આવશે અને ટિકિટ વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલાઈઝ કરવામાં આવશે.
ઉધના સ્ટેશનની હાલત
આજે સવારથી જ સ્ટેશન પર ભારે ભીડ છે,
એક-એક ડબ્બામાં લોકો લાઈનમાં બેસાડવામાં આવી રહ્યા છે.કેટલાક મુસાફરોને છ કલાક સુધી હોલ્ડિંગ એરિયામાં રાહ જોવી પડી રહી છે.
ટ્રેનોના ડબ્બામાં પણ પગ મૂકવાની જગ્યા નહીં હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.
વૃદ્ધો અને બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત ધીમે ધીમે ખાલી થવાનું શરૂ
સુરત, ટેક્સટાઇલ અને ડાયમંડ હબ હોવાને કારણે અહીં દેશભરના લોકો કામ કરે છે.
દર વર્ષે દિવાળી અને છઠ પર્વ સમયે મોટા પાયે પરપ્રાંતીયો વતન જતા હોય છે.
આ વર્ષે પણ આજથી જ વેકેશનની શરૂઆત થતાં
ધીમે ધીમે સુરત ખાલી થવાનું શરૂ થઈ ગયું છે.
છેલ્લા પાંચ દિવસમાં જ ઉધના અને સુરત રેલવે સ્ટેશન પરથી 30 ટ્રેનો દ્વારા
56 હજારથી વધુ મુસાફરો ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ રવાના થયા છે.
આગામી પાંચ દિવસમાં હજુ હજારો મુસાફરો વતન જવાના છે,
જેને કારણે ટ્રેનોમાં ઊભા રહેવાની પણ જગ્યા મળશે નહીં એવી સ્થિતિ રહેશે.
આગામી ત્રણ દિવસ વધુ ભીડની સંભાવના
સ્કૂલ-કોલેજોમાં પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે મોટાભાગના વિદ્યાર્થીઓ અને કામદારો વતન તરફ જઈ રહ્યા છે.
રેલવે તંત્રના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ સુધી ભીડ વધુ રહેશે.
મુસાફરો દ્વારા વધારાની ટ્રેનોની માંગ પણ કરવામાં આવી રહી છે.






