ઉત્તર ગુજરાત માટે વધુ એક આધુનિક રેલવે સુવિધાનો પ્રારંભ થયો છે. રાજ્યમાં છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા સોમવારથી શરૂ થઈ છે. ઉદયપુરથી અસારવા વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને હિંમતનગર રેલવે સ્ટેશન પર અમદાવાદ તરફ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ અવસરે સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી ફરકાવી ટ્રેનને રવાના કરી હતી.
સ્થાનિકોમાં ખુશીનો માહોલ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો લાંબા સમયથી ઉત્તમ રેલવે સુવિધાની માંગણી કરી રહ્યા હતા. હવે દેશની અદ્યતન ગણાતી વંદે ભારત ટ્રેન હિંમતનગરને જોડતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સોમવારે બપોરે પ્રથમ ટ્રેન ઉદયપુરથી હિંમતનગર પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં તેને અસારવા તરફ રવાના કરવામાં આવી હતી.
ઉદયપુર-અસારવા વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે
આ પ્રસંગે સાંસદ રમીલાબેન બારૈયા અને મયંક નાયક સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળી હિંમતનગર માર્ગે વંદે ભારત શરૂ કરવાની રજૂઆત કરી હતી, જેના પરિણામે આ સેવા શરૂ થઈ છે. ઉદયપુર-અસારવા વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે. ટ્રેન સાંજે આશરે 6 વાગ્યે અસારવાથી રવાના થઈ રાત્રે 10 વાગ્યે ઉદયપુર પહોંચશે, જ્યારે સવારે 6 વાગ્યે ઉદયપુરથી નીકળી 10:25 વાગ્યે હિંમતનગર પહોંચશે. અમદાવાદ-ઉદયપુર માર્ગ અરવલ્લીની સુંદર ગિરિમાળાઓ વચ્ચેથી પસાર થતો હોવાથી મુસાફરોને મનોહર દૃશ્યોનો પણ લાભ મળશે.




















