અંકલેશ્વર શહેરમાં ત્રિપલ તલાકનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં બાગે મદીના સોસાયટીમાં રહેતા ઈરફાન હુસેન સિકંદર શેખ વિરુદ્ધ ત્રિપલ તલાકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ દંપતીએ મુસ્લિમ શરિયત મુજબ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નજીવન દરમિયાન પતિ અને સાસરિયાઓ તરફથી માનસિક તથા અન્ય પ્રકારનો ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્રણ વખત ‘તલાક’ શબ્દ ઉચ્ચારી છૂટાછેડા જાહેર કર્યા!
ફરિયાદ મુજબ પતિ પત્ની પર ખોટા શક અને વહેમ રાખતો હતો અને વારંવાર છૂટાછેડા લેવા માટે દબાણ કરતો હતો. અંતે પતિએ પત્નીને રૂબરૂમાં કહી દીધું કે “મારે તને રાખવી નથી, મને છૂટાછેડા જોઈએ છે” અને ત્યારબાદ ત્રણ વખત ‘તલાક’ શબ્દ ઉચ્ચારી છૂટાછેડા જાહેર કર્યા હતા. આ ઘટનાથી વ્યથિત બનેલી પત્નીએ કાનૂની માર્ગ અપનાવી પોતાના વકીલ મારફતે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ મથકમાં ત્રિપલ તલાકની નોંધાઈ ફરિયાદ
આ મામલે અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ત્રિપલ તલાક સંબંધિત ગુનો નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે અને મહિલાઓના અધિકારો અને સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.




















