નવા વર્ષમાં ધૂમ્રપાન અને તમાકુના ઉત્પાદનોનું સેવન કરનારા લોકોએ વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. ભારત સરકાર દ્વારા આર્થિક સુધારાના ભાગરૂપે તમાકુ ઉત્પાદનો પર ટેક્સના માળખામાં મોટા ફેરફારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ આગામી 10 ફેબ્રુઆરીથી દેશભરમાં તમાકુ અને તેની બનાવટો પર નવા GST દરો અમલી બનશે. સરકારના આ નિર્ણયથી બજારમાં સિગારેટ, બીડી અને પાન મસાલાની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
બીડી અને પાન મસાલા પર કેટલો ટેક્સ લાગશે?
સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ હવે બીડી પર સીધો 18% GST વસૂલવામાં આવશે. આ ઉપરાંત પાન મસાલા અને તમાકુના અન્ય ઉત્પાદનો પર ટેક્સનો દર વધારીને 40% GST કરી દેવામાં આવ્યો છે. અગાઉ આ ચીજવસ્તુઓ પર અલગ-અલગ સ્લેબમાં ટેક્સ લાગતો હતો, જેના કારણે ઘણી વખત મૂંઝવણ ઉભી થતી હતી. આ નવી વ્યવસ્થાથી ટેક્સ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે તેવું સરકારનું માનવું છે.
જૂની સિસ્ટમમાં રહેલી ખામીઓ થશે દૂર
અત્યાર સુધીની ટેક્સ વ્યવસ્થામાં મશીનથી બનેલી બીડી પર 28% અને સામાન્ય બીડી પર 5 થી 12% સુધીનો GST લાગતો હતો. બીજી તરફ પાન મસાલા પર 28% GST સાથે વધારાનો સેસ લાગતો હતો, જેના કારણે કુલ ટેક્સનો આંકડો 50 થી 60% સુધી પહોંચી જતો હતો. આ જટિલ માળખાનો લાભ લઈને કેટલીક કંપનીઓ ટેક્સ ચોરી કરતી હતી, જેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થતું હતું. હવે 1 ફેબ્રુઆરીથી અમલી બનનારા નવા નિયમો બાદ આવી ગેરરીતિઓ પર લગામ લાગશે.
સમગ્ર દેશમાં એક સમાન નિયમ અને સ્વાસ્થ્ય પર અસર
નવી ટેક્સ નીતિ તમામ રાજ્યોમાં એકસમાન રીતે લાગુ કરવામાં આવશે, જેથી ટેક્સની ચોરી અટકશે અને સરકારની આવકમાં વધારો થશે. આ કડક કાયદા પાછળ સરકારનો બીજો મુખ્ય હેતુ લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાનો પણ છે. ઉત્પાદનો મોંઘા થવાને કારણે લોકો તમાકુના સેવનથી દૂર રહે તેવી શક્યતા છે. સરકાર આ વધારાની ટેક્સની આવકનો ઉપયોગ સ્વાસ્થ્યલક્ષી યોજનાઓને વધુ મજબૂત કરવા માટે કરશે.





















