દાયકાઓ પહેલા ગુજરાત રાજ્યના વલસાડથી લઈને અંબાજી સુધીના ટ્રાઇબલ પટ્ટાના જંગલોમાં વાઘ વિચરતા હોવાનો ઇતિહાસ છે અને અમદાવાદ શહેરની હદમાં વાઘ પ્રવેશી જતા હતા અને ઉત્તર ગુજરાતના બાલારામ વનવિસ્તારમાં તો કેટલીય વાર વાઘ દેખાયાનો વનવિભાગના દસ્તાવેજોમાં જીકર થયેલો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં જ રતન મહાલના જંગલોમાં વાઘના પણ આંટાફેરા શરુ થયા છે.
ફેબુ્રઆરી મહિનાથી રતન મહાલના જંગલમાં વાઘ દેખાયા હોવાની વાત સામે આવી હતી, જેના કારણે વન વિભાગે કેમેરા ગોઠવ્યા હતા, જેના કારણે વાઘની હાજરી છતી થઈ છે. તમને જણાવી દઈએ કે રતન મહાલનું જંગલ ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર છે. મધ્યપ્રદેશમાંથી જ આ વાઘ રતન મહાલમાં આવ્યો હોવાની સામે આવી રહી છે. આ નર વાઘ છે અને ફેબુઆરી મહિનાથી તે નિયમિત રીતે જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લે ૨૦૧૯માં મહીસાગરના જંગલોમાં વાઘ જોવા મળ્યો હતો. જે પણ મધ્યપ્રદેશમાંથી આવ્યો હતો.એ પછી વાઘે દેખા દીધી હોવાની બીજી ઘટના છે. તેનો અર્થ એવો પણ નથી કે વાઘે રતન મહાલના જંગલોને પોતાનું નવુ ઘર બનાવ્યું છે. જો વાઘ અહીંયા બચ્ચા આપે તો જ કહી શકાય કે તેણે અહીંયા રહેઠાણ બનાવ્યું છે.
વન વિભાગે જંગલોમાં પ્રાણીઓ પર નજર રાખવા માટે અને વસતી ગણતરી માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ વ્યાપક બન્યો છે. જેના ભાગરુપે અલગ પ્રકારના કેમેરાનો રતન મહાલ અને જાંબુઘોડાના જંગલોમાં ઉપયોગ કરી રહ્યા છે. ટેકનોલોજીના ઉપયોગની સાથે સાથે તેમાંથી પ્રાપ્ત થતા થોકબંધ ડેટાના એનાલિસિસનું કામ પણ જોકે એટલું જ પડકારજનક બની રહ્યું છે.





















