પાટણના હારીજ ખાતે ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનને લઈને વિવાદ ઊભો થયો છે. પાટણ જિલ્લાના હારીજમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગે સમાજના નક્કી કરાયેલા નિયમોનું પાલન ન થતાં સોશિયલ મીડિયામાં ચર્ચા અને પોસ્ટ વોર શરૂ થઈ છે.
ઠાકોર સમાજમાં ઉભા થયા મતભેદો!
માહિતી મુજબ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઠાકોર સમાજના બંધારણ મુજબ લગ્ન પ્રસંગે માત્ર એક જ મીઠાઈ પીરસવાની જોગવાઈ છે તેમજ હલ્દી રસમ, ભવ્ય એન્ટ્રી જેવી કેટલીક પ્રથાઓ પર પ્રતિબંધ છે. ઉપરાંત VIP રિસેપ્શન, VIP ભોજન અને અલગ VIP કંકોત્રી જેવી પ્રથાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી.
VIP રિસેપ્શન અને VIP ભોજનની વ્યવસ્થા
આક્ષેપ છે કે આ લગ્ન પ્રસંગે VIP રિસેપ્શન અને VIP ભોજનની વ્યવસ્થા સાથે અલગ કંકોત્રી છપાવવામાં આવી હતી, જે સમાજના બંધારણના નિયમો વિરુદ્ધ ગણાઈ રહી છે. આ મુદ્દે સમાજમાં અસંતોષ ફેલાયો છે અને કેટલાક સભ્યો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું નિયમો માત્ર સામાન્ય અને ગરીબ લોકો માટે જ છે?
અર્જુન ઠાકોરએ ફેસબુક પોસ્ટ કરી ટિપ્પણી કરી
સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરએ ફેસબુક પોસ્ટ દ્વારા આ મુદ્દે ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે. તેમની પોસ્ટમાં એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે બંધારણ માત્ર ચોક્કસ આગેવાનો માટે જ છે કે સમગ્ર સમાજ માટે સમાન રીતે લાગુ પડે છે? આ સમગ્ર મામલે ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે મતભેદ ઊભા થયા છે. હવે સમાજના નિયમોનો સમાન અમલ થશે કે નહીં તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.




















