નવા મંત્રી મંડળની રચના બાદ આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને જવાબદારી સોંપવામાં આવી છે. સાથો સાથે આ કેબિનેટ બેઠકમાં પાક નુકસાની સહાય ચૂકવવા મંજૂરી આપવામાં આવી છે.
ખેતી પાકમાં ભારે નુકસાન
ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને સૈરાષ્ટ્ર સહિતના ઘણાં વિસ્તારોમાં ભારે પવન અને અચાનક પડેલા વરસાદથી તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થતાં સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે.
નુકસાનના આંકડા એકત્રિત કરવાની સૂચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા સંબંધિત મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. તેમના આ નિર્દેશ બાદ મંત્રીઓ મેદાનમાં ઉતરી ખેડૂતો વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળી અને પાકની સ્થિતિની સમીક્ષા કરી હતી. આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતોને સહાય ચૂકવવા માટે મંજૂરી અપાઈ છે. અધિકારીઓને તાત્કાલિક સર્વે હાથ ધરી નુકસાનના આંકડા એકત્રિત કરવાની સૂચના આપવામાં આવી છે.
સહાયની વિગત જાહેર કરવામાં આવશે
થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને મળનારી સહાયની વિગત જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને તેમને દરેક શક્ય સહાય પહોંચાડવામાં આવશે તેવી ખાતરી પણ મુખ્યમંત્રી દ્વારા અપાઈ છે.






