બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણને લઈને વિવાદ ઊભો થયો છે. ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતાં સમગ્ર ઠાકોર સમાજમાં ભારે રોષ અને ચર્ચા જાગી છે.
બંધારણનો ભંગ થયાનો આક્ષેપ સાથે સમાજમાં રોષ
ઝાબડિયા ગામમાં સિંગર ગબ્બર ઠાકોરના કાકાના દીકરાના લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લાઈવ ડીજે સાથે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ લગ્ન પ્રસંગમાં સિંગર ગબ્બર ઠાકોર, તેમના ભાઈ સિંગર અર્જુન ઠાકોર સહિત ઠાકોર સમાજના અનેક લોકો હાજર રહ્યા હતા. જોકે સમાજના બંધારણ મુજબ લગ્નમાં ડીજે અને ભવ્ય વરઘોડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં તેનું પાલન ન થતાં બંધારણનો ભંગ થયો હોવાનું સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે.
સમાજના લોકોમાં ભારે રોષ
તાજેતરમાં ઓગડ મુકામે ઠાકોર સમાજના લાખો લોકોની હાજરીમાં સમાજનું બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું. સમાજમાં વધતા સામાજિક દૂષણો દૂર કરવા માટે આ બંધારણને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે ઝાબડિયા ગામની ઘટનાએ સમાજના બંધારણના અનાદરનો મુદ્દો ઊભો કર્યો છે. આ ઘટનાને પગલે ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં “કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરેલા છે, કોઈએ એમને સપોર્ટ ન કરવો” જેવી પોસ્ટો વાયરલ થઈ રહી છે, જેના કારણે મામલો વધુ ગરમાયો છે.
મંત્રી સ્વરૂપજી ઠાકોરે બંધારણ પાલન કરી મિસાલ પૂરી પાડી!
બીજી તરફ મંત્રી સ્વરૂપજી ઠાકોરે સમાજના બંધારણનું પાલન કરી પોતાના પરિવારમાં સાદગીપૂર્ણ લગ્ન યોજી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બંધારણ તોડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીતિ-નિયમો મુજબ યોગ્ય નિર્ણય લઈ કડક દાખલો બેસાડવાની વાત
આ મુદ્દે આવતીકાલે ઝાબડિયા ગામે ઠાકોર સમાજના આગેવાનો એકત્ર થવાના છે. સમાજના નીતિ-નિયમો મુજબ યોગ્ય નિર્ણય લઈ કડક દાખલો બેસાડવાની વાત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ ઠાકોર સમાજની એકતા, શિસ્ત અને બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સામે લાવી છે.




















