Jamnagar News: રાજ્યમાં જમીન સંપાદન અને યોગ્ય વળતરના મુદ્દે ખેડૂતોનો આક્રોશ સતત વધી રહ્યો છે. જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા હવે જામનગર સુધી પહોંચ્યા છે. જેતપુરના ખેડૂતોની પડખે ઊભા રહેવા અને તેમના આંદોલનને મજબૂત ટેકો આપવા માટે જામનગર જિલ્લાના ખેડૂતો પણ હવે મેદાને આવ્યા છે. આજે જામનગર પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાવા માટે રવાના થયા હતા.
150થી વધુ ગાડીઓનો કાફલો અને 30થી 40 ગામોની ભાગીદારી
મળતી માહિતી મુજબ, જામનગરના દોઢીયા સહિત આસપાસના ૩૦થી ૪૦ ગામોના ખેડૂતો આ આંદોલનમાં સક્રિયપણે જોડાયા છે. આજે સવારે દોઢીયા ગામ અને અન્ય વિસ્તારોમાંથી 150 થી વધુ ગાડીઓનો વિશાળ કાફલો જેતપુર જવા માટે રવાના થયો હતો. ખેડૂતોના આ અભૂતપૂર્વ સમર્થનને પગલે સમગ્ર પંથકમાં ભારે ગરમાવો આવી ગયો છે.
જમીન સંપાદન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ
ખેડૂતોનો મુખ્ય આક્રોશ જમીન સંપાદનની નીતિઓ અને તેના બદલામાં મળતા અપૂરતા વળતર સામે છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની કિંમતી અને ઉપજાવ જમીનો સંપાદન કરી લેવામાં આવે છે, પરંતુ તેના બદલામાં તેમને યોગ્ય બજારભાવ કે ન્યાયી વળતર આપવામાં આવતું નથી. પોતાની પેઢીઓની આજીવિકા સમાન જમીન છીનવાઈ જવાના ડર અને વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
"જય જવાન, જય કિસાન"ના નારા સાથે ગુંજ્યું વાતાવરણ
કાફલો રવાના થયો ત્યારે ખેડૂતોએ "જય જવાન, જય કિસાન" અને "ખેડૂત એકતા ઝિંદાબાદ"ના ગગનભેદી નારા લગાવ્યા હતા. ખેડૂતોના ચહેરા પર પોતાના હક માટે લડી લેવાનો મક્કમ નિર્ધાર અને આક્રોશ સાફ દેખાતો હતો.
આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી
આંદોલનકારી ખેડૂત આગેવાનોએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ લડત માત્ર જેતપુર પૂરતી મર્યાદિત નથી, સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે એકતાના તાંતણે બંધાયેલો છે. જો સરકાર દ્વારા જમીન સંપાદન મુદ્દે ખેડૂતોની ન્યાયી માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને યોગ્ય વળતર આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર અને વ્યાપક બનશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલ તો જામનગરથી નીકળેલો આ ખેડૂતોનો મોટો કાફલો જેતપુર આંદોલનને નવી દિશા અને ધાર આપશે તે નક્કી જણાઈ રહ્યું છે.





