Ram Temple Flag Ahmedabad : અયોધ્યાના રામ મંદિરના શિખર પર ચડાવવામાં આવેલી વિશાળ ધજા સંપૂર્ણ રીતે અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે અને PM મોદીએ આ પવિત્ર ધજાને મંદિરના શિખર પર ચડાવવાનો ગૌરવ મેળવ્યો છે. આ ધજા 22 ફૂટ લાંબી અને 11 ફૂટ પહોળી છે. ધજાની તૈયારીઓનું મહત્વપૂર્ણ કામ અમદાવાદની શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં કુલ 10 કારીગરોએ સતત 25 દિવસ મહેનત કરીને આ વિશેષ ધજા તૈયાર કરી છે. ધજાને વધુ મજબૂત અને ટકાઉ બનાવવા માટે થ્રી-લેયર મટીરીયલ સાથે રેશ્મી સાટીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કલ્પવૃક્ષ, સૂર્યનારાયણ ભગવાન અને ‘ૐ’નાં પ્રતીકો
ધજાના બંને બાજુ પર રામ મંદિર તરફથી આપવામાં આવેલી મૂળ ડિઝાઇનને આધારે કલ્પવૃક્ષ, સૂર્યનારાયણ ભગવાન અને ‘ૐ’નાં પ્રતીકો અત્યંત સુંદર રીતે ઊમેરીને તૈયાર કરવામાં આવ્યા છે. રામ ભગવાનના પ્રતીકોને ખૂબ જ ભાવનાત્મક અને પરંપરાગત રીતે દર્શાવવામાં આવ્યા છે. આ વિશેષ ધજા બનાવનાર પરિવારને રામ મંદિર પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં યજમાન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમના માટે ગૌરવની ક્ષણ બની.
42 ફૂટ ઊંચો અને 5100 કિલોનો વિશાળ ધ્વજદંડ
માત્ર ધજા જ નહીં, પરંતુ મંદિર માટેનો 42 ફૂટ ઊંચો અને 5100 કિલોનો વિશાળ ધ્વજદંડ પણ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ધ્વજદંડ સંપૂર્ણ રીતે તૈયાર કરીને અયોધ્યા મોકલવામાં આવ્યો છે. કશ્યપ મેવાડાએ જણાવ્યું કે મુખ્ય ધ્વજદંડ ઉપરાંત મંદિરના પરકોટામાં લગાડવા માટેના અન્ય ધ્વજદંડો પણ તેમની ટીમ દ્વારા જ બનાવીને મોકલવામાં આવ્યા છે. આ રીતે અમદાવાદમાં બનેલી આ મહાકાય ધજા અને ધ્વજદંડ રામ મંદિરની શોભા, રંપરા અને ભવ્યતાને નવી ઊંચાઈ આપે છે.





















