Junagadh News: જૂનાગઢ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બાંટવા ખારા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. પાણીના સ્તરમાં વધારો થતાં તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા માણાવદર તાલુકાના ભલગામ, એકલેરા, કોડવાવ અને સમેગા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત કુતિયાણા તાલુકાના રેવદ્રા, ધરસંડ, તરખાઈ અને ગઢવાણા સહિતના ગામોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
નદી કિનારાથી દૂર રહેવા અપીલ
ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામોમાં સાવચેતી રાખવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. લોકોને નદીના પટમાં કે કિનારે ન જવા તેમજ અનાવશ્યક અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે.
તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધુ વધારો થશે તો જરૂરિયાત મુજબ આગળના પગલાં લેવામાં આવશે. સ્થાનિકોને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.





