દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાઓમાં વૃક્ષારોપણને વધુ વેગ આપવાની દિશામાં વન વિભાગની નર્સરીઓ નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ હાલ જામનગર રેન્જમાં બે નર્સરીઓ નારણપર અને વિજરખી કાર્યરત છે.જે બન્ને નર્સરી રણજીતસાગર ડેમ અને વિજરખી ડેમ પાસે આવેલ છે. જેથી પુરતું પાણી મળી રહેતા રોપાનુ યોગ્ય માવજત સાથે ઉછેર કરવામાં આવે છે.

આ નર્સરીઓમાંથી વર્ષે અંદાજે 5.57 લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાંથી મોટાભાગના રોપાઓ ખેડૂતો, નાગરિકો અને સંસ્થાઓ દ્વારા લેવામાં આવે છે. હાલ સુધી માત્ર 1 માસમાં 2.90 લાખ રોપાનુ વિતરણ પુર્ણ થયુ છે. દર વર્ષે અઢી લાખ રોપાનુ વિતરણ થતુ આવર્ષે બમણાથી વધુ રોપાનુ વિતરણ થશે.
ખેડૂતો અને નાગરિકો માટે લાભદાયક યોજનાઓ
ખેડૂતોને પ્રતિ હેક્ટરે 50 રોપા નિ:શુલ્ક આપવામાં આવે છે.
સામાન્ય નાગરિકો માટે પણ રોપાઓ બિનમૂલ્યે ઉપલબ્ધ છે.
સરકારી અને ખાનગી સંસ્થાઓને નિયત દરે રોપા આપવામાં આવે છે.

નરસરીમાં ઉપલબ્ધ વિવિધ જાતો – કુલ 57 પ્રકારના રોપા
ફળદ્રુપ વૃક્ષો: જામફળ, દાડમ, સીતાફળ, સરગવો, આમડા, આંબલી, બદામ, ગુંદા
વનસ્પતિ વૃક્ષો: રાયણ, શરુ, નિલગીરી, લીંબુ
સજાવટના છોડ: ગુલાબ, જાસુદ, મોગરો, કરેણ
નીલગીરીનો સફળ પ્રયોગ
વર્ષ 2022-23થી નવી પહેલ તરીકે, નર્સરીમાં હાઈટેક પદ્ધતિથી નીલગીરીના રોપા તૈયાર કરવામાં આવી રહ્યા છે. પસંદગીના કટિંગથી તૈયાર આ રોપાઓને 60 દિવસ સુધી ખાસ જાળવણી હેઠળ રાખવામાં આવે છે, જેથી ઉત્તમ વૃક્ષો ઊગે છે.
ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે હરિયાળી અભિયાનમાં
કૃષિ-પર્યાવરણ માટે ફાયદાકારક એવા આ પ્રયાસમાં હવે ખેડૂતો પણ સહભાગી બની વધુ રોપણ માટે સૌંદર્ય અને ઉપયોજનાનો દ્રષ્ટિકોણ અપનાવી રહ્યા છે.હવે ખેડૂતો પણ નર્સરીની કામગીરીથી પ્રભાવિત બનીને પોતાના બીજ કે નાના છોડ આપીને વૃક્ષ ઉછેરના યજ્ઞમાં સહભાગી બની રહ્યા છે.વન વિભાગની નર્સરીઓ ખાસ માટી, પોટિંગ બેગ અને ગુણવત્તાયુક્ત બીજ બહારથી મગાવીને રોપાઓનું ઉછેર કરે છે, જેનાથી હરિયાળું ગુજરાત ઊભું થઈ શકે – એ દિશામાં મોટું પગલું છે.






