દક્ષિણ ભારતના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેતો વચ્ચે ફિલ્મ સ્ટારથી રાજકારણી બનેલા થલપતિ વિજયની રાજકીય એન્ટ્રી હવે ગંભીર ચર્ચાનો વિષય બની રહી છે. તેમની પાર્ટી તમિલગા વેટ્રિ કઝગમ (TVK) દ્વારા રાજકીય મેદાનમાં પ્રવેશને માત્ર એક સેલિબ્રિટી મૂવ તરીકે નહીંપરંતુ તમિલનાડુમાં ‘ડ્રવિડિયન પોલિટિક્સ 2.0’ તરીકે જોવામાં આવી રહી છે. દાયકાઓથી તમિલનાડુનું રાજકારણ મુખ્યત્વે DMK અને AIADMK જેવી દ્રવિડ પાર્ટીઓના પ્રભુત્વ હેઠળ રહ્યું છે. આ બંને પક્ષોએ સામાજિક ન્યાય, ભાષા અને પ્રાદેશિક ઓળખને કેન્દ્રમાં રાખીને રાજ્યની રાજકીય દિશા નક્કી કરી છે. જોકે હવે નવી પેઢી, ખાસ કરીને યુવાનો, પરંપરાગત રાજકારણથી અલગ કંઈક નવી આશા શોધી રહ્યાં છે.
નવી પેઢી અને રાજકારણમાં બદલાવ
વિજયની લોકપ્રિયતા ખાસ કરીને યુવાનોમાં ખૂબ ઊંચી છે અને તે જ તેમના રાજકીય પ્રવેશનો મુખ્ય આધાર માનવામાં આવે છે. ફિલ્મોમાં તેમના દ્વારા રજૂ થયેલા સામાજિક સંદેશો અને કરપ્શન વિરોધી છબી તેમને રાજકારણમાં વિશ્વસનીયતા આપે છે. આ પરિબળો TVKને એક વિકલ્પ તરીકે ઉભું કરી શકે છે. વિશ્લેષકો માને છે કે વિજયની રાજકીય લાઈન પરંપરાગત દ્રવિડ વિચારધારાને સંપૂર્ણપણે નકારી કાઢતી નથી. એટલે કે, ‘ડ્રવિડિયન પોલિટિક્સ 2.0’માં સામાજિક ન્યાય સાથે વિકાસ, પારદર્શિતા અને યુવાનોને કેન્દ્રમાં રાખવામાં આવે છે.
વિજય તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન મંદિરો અને ચર્ચોમાં જતા જોવા મળ્યા હતા. જ્યારે લોકોને ખબર પડી કે તેમનું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે, ત્યારે તેઓ વધુ મૂંઝવણમાં મુકાયા. તેથી, વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખર છે જે એક ખ્રિસ્તી છે અને તેમની માતા હિન્દુ છે. અને તેઓ દાવો કરે છે કે તેમની પાર્ટી, TVK એક ધર્મનિરપેક્ષ સામાજિક ન્યાયની વિચારધારા ધરાવે છે. તેઓ જે ઐતિહાસિક વ્યક્તિઓને અનુસરવાનો દાવો કરે છે તેમાં તેઓ પરિયાર, ડૉ. આંબેડકર, કામરાજ, રાણી વેલુ નાચિયાર અને અંજલી અમ્મલનું નામ લે છે.
તેમણે પેરિયારનો પણ ઉલ્લેખ કર્યો. પેરિયાર જ હતા જેમની દ્રવિડ વિચારધારાએ ડીએમકે પાર્ટીની રચનાને પ્રેરણા આપી હતી. ડીએમકેએ તમિલનાડુમાં કોંગ્રેસ શાસનનો કાયમી અંત લાવ્યો એટલી હદે કે કોંગ્રેસ ત્યાં ક્યારેય સત્તામાં પાછી ફરી ન શકી.
પરંપરાગત પક્ષો માટે પડકાર
તમિલનાડુમાં હાલ એમ.કે. સ્ટાલિનની આગેવાની હેઠળ DMK સત્તામાં છે, જ્યારે AIADMK મુખ્ય વિરોધ પક્ષ તરીકે કાર્યરત છે. આવી સ્થિતિમાં વિજયની એન્ટ્રી બંને પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે, ખાસ કરીને જો તેઓ યુવાનો અને શહેરી મતદારોને આકર્ષવામાં સફળ થાય. રાજકીય નિષ્ણાતો જણાવે છે કે વિજયને હજુ સંગઠનાત્મક માળખું મજબૂત બનાવવું પડશે. માત્ર લોકપ્રિયતા પુરતી નથી. ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકર્તાઓ નીતિ સ્પષ્ટતા અને ચૂંટણી વ્યવસ્થાપન પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: મમતાની હાર બાદ અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય નિર્ણય : અખિલેશ યાદવે I-PAC સાથે છેડો ફાડ્યો!
ફિલ્મી લોકપ્રિયતા સામે રાજકીય વાસ્તવિકતા
દક્ષિણ ભારતમાં ફિલ્મ સ્ટાર્સના રાજકારણમાં પ્રવેશનો ઈતિહાસ લાંબો રહ્યો છે. એમ.જી. રામચંદ્રન અને જયલલિતા જેવા નેતાઓએ ફિલ્મી લોકપ્રિયતાને રાજકીય સફળતામાં ફેરવી હતી. જોકે દરેક અભિનેતા માટે આ માર્ગ સરળ રહ્યો નથી. વિજય માટે પડકાર એ રહેશે કે તેઓ પોતાની ઈમેજને મતમાં કેવી રીતે પરિવર્તિત કરે છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં તેમની પહોંચ અને સંગઠન કેવી રીતે ઉભું થાય છે તે મહત્વપૂર્ણ રહેશે.
વિજયની રાજકીય પાર્ટી આગામી ચૂંટણીમાં કેટલો પ્રભાવ પાડશે તે હજી અસ્પષ્ટ છે પરંતુ તેમની એન્ટ્રી એ સ્પષ્ટ કરે છે કે તમિલનાડુનું રાજકારણ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. જો તેઓ યુવાનો, મધ્યવર્ગ અને પ્રથમ વખત મતદાન કરનારા વર્ગને પ્રભાવિત કરી શકે, તો રાજ્યની રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે જ, ‘ડ્રવિડિયન પોલિટિક્સ 2.0’નો વિચાર માત્ર તમિલનાડુ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ અન્ય રાજ્યોમાં પણ નવી રાજકીય ચર્ચાને જન્મ આપી શકે છે.






