25 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે. ફૈઝાન મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને છેલ્લા ચાર વર્ષથી નવસારીમાં રહેતો હતો. તે દરજી કામ કરી પોતાની ગુજરાન ચલાવતો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે ફૈઝાન શેખ આતંકવાદી સંગઠનોની કટ્ટર વિચારધારાના પ્રભાવમાં આવી ગયો હતો અને દેશમાં આતંક ફેલાવવાની યોજના બનાવી રહ્યો હતો.
ફૈઝાને કુલ સાત લોકોની યાદી બનાવી હતી
ATSની તપાસમાં સામે આવ્યું છે કે, ફૈઝાને ઇસ્લામ અને પયગંબર વિરુદ્ધ નિવેદન આપનાર લોકોની એક યાદી તૈયાર કરી હતી અને તેમની હત્યા કરવાની યોજના ઘડી હતી. ફૈઝાને કુલ સાત લોકોની યાદી બનાવી હતી, જેમાં અભિષેક ઠાકુર, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડો. પ્રકાશ, યુધી રાણા, અક્કુ પંડિત અને વિક્રાંતનો સમાવેશ થાય છે. આ યાદી તેણે ચોક્કસ ગ્રુપમાં ફોરવર્ડ પણ કરી હતી અને આ લોકોને “દુનિયા જોતી રહે તેવી રીતે મારશે” તેવી વાતનો ઉલ્લેખ કર્યો હતો.
ઉર્દૂ-અરબી ભાષામાં લખાયેલું 29 પાનાનું સાહિત્ય પણ જપ્ત કર્યું
તપાસ દરમિયાન ફૈઝાન પાસેથી ઉર્દૂ અને અરબી ભાષામાં લખાયેલું 29 પાનાનું સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યું છે. ATSના જણાવ્યા મુજબ ફૈઝાન જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને અલ-કાયદા જેવી આતંકવાદી સંસ્થાઓની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો. તે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદીઓના સંપર્કમાં હતો અને મૂળ ઉત્તરપ્રદેશના કેટલાક નામચીન લોકોની યાદી પણ તેણે તૈયાર કરી હતી. હાલ ATS આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને તેના સંપર્કો તથા નેટવર્ક વિશે વિગતવાર તપાસ ચાલુ છે.





















