દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો માટે થોડા સમય માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભુજ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાને ત્રણ વખત ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ અવરોધના કારણે દરેક વખત નિષ્ફળ રહ્યું હતું.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી
વિમાન વારંવાર ચક્કર લગાવતું હતો જેના પગલે અંદર બેઠેલા મુસાફરો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ભારે ફફડાટ અને તણાવ ફેલાયો હતો. કેટલાક મુસાફરો પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા તો કેટલાક ગભરાટમાં આવી ગયા હતા.
મુસાફરોમાં ભારે ગભરાટ
અંતે ચોથા પ્રયાસમાં પાયલટે પોતાની સમજદારી અને કુશળતાથી વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું, જેના કારણે તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફ્લાઈટ કેપ્ટન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટેકનિકલ ક્ષતિના કારણે સાવચેતીના ભાગરૂપે લેન્ડિંગમાં વિલંબ કરવો પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાની માહિતી નથી. ભુજ એરપોર્ટ પર વિમાન સુરક્ષિત રીતે ઉતરતાં જ મુસાફરોમાં ખુશી અને રાહતનો માહોલ જોવા મળ્યો હતો.




















