લાંબા સમયથી અટકેલા ભારત-યુકે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) પર અંતે હસ્તાક્ષર થયા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટારમર સાથે ચકર્સ ખાતે ‘ચાય પે ચર્ચા’ કરી. આ અનૌપચારિક મુલાકાતના દ્રશ્યો પીએમ મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને જણાવ્યું કે આ મુલાકાત ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવશે.
ઔપચારિક બેઠક પહેલા અનૌપચારિક મુલાકાત
ઉલ્લેખનીય છે કે ‘ચાય પે ચર્ચા’ બંને દેશના વડા પ્રધાનો વચ્ચે સત્તાવાર વાટાઘાટો પહેલા યોજાઈ હતી. પીએમ મોદી 2014માં વડા પ્રધાન બન્યા બાદ આ યુકેની ચોથી મુલાકાત છે.
મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર
આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને યુકેના વેપારમંત્રી જોનાથન રેનોલ્ડ્સ વચ્ચે ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરાર હેઠળ બંને દેશો વચ્ચે વ્યાપારની અડચણો દૂર થશે અને વેપાર પ્રવાહ વધુ વેગશે.
ક્રિકેટ અને ફૂટબોલ દ્વારા સંબંધ મજબૂત
પીએમ મોદી અને સ્ટારમરે બકિંગહામશાયર સ્ટ્રીટ ક્રિકેટના ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમને T20 વર્લ્ડ કપનો હસ્તાક્ષરિત બેટ ભેટમાં આપ્યો. તેમણે પ્રીમિયર લીગ ટ્રોફી પણ જોઈ, જે ભારતીય યુવાનોમાં ફૂટબોલની વધતી લોકપ્રિયતા દર્શાવે છે.
પીએમ મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ લખ્યું, "ચેકર્સ ખાતે વડા પ્રધાન કીર સ્ટારમર સાથે ચાય પે ચર્ચા... ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવશે."





