સુરત મહા નગરપાલિકાએ લાંબા સમયથી બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે હવે કડક વલણ અપનાવ્યું છે. લિંબાયત ઝોનમાં પાલિકા તંત્ર દ્વારા અચાનક રિકવરી ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક જ દિવસમાં 100થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. લિંબાયત ઝોન હેઠળ આવતા સચિન GIDC, રામકૃષ્ણ માર્કેટ, આશીર્વાદ માર્કેટ અને પોલારીસ માર્કેટ સહિતના વિસ્તારોમાં પાલિકાની ટીમો તાત્કાલિક પહોંચી હતી. વર્ષોથી મિલકત વેરો ન ભરનાર વેપારીઓ સામે સીધી સીલિંગ કાર્યવાહી હાથ ધરાતાં બજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતનાં લિંબાયત ઝોનમાં પાલિકાનો કડક વેરા એક્શન
આ રિકવરી અભિયાન દરમિયાન અંદાજે 1.02 કરોડ રૂપિયાના બાકી વેરા ધરાવતા કોમર્શિયલ એકમોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. સીલિંગની કાર્યવાહી દરમ્યાન કેટલાક વેપારીઓએ સ્થળ પર જ બાકી વેરો ચૂકવતાં પાલિકાને 43.74 લાખ રૂપિયાની તાત્કાલિક વસૂલાત થઈ હતી. પાલિકા સૂત્રો અનુસાર, લિંબાયત ઝોનમાં અન્ય વિસ્તારોમાંથી થયેલી રિકવરી સાથે કુલ 87.50 લાખ રૂપિયાની વસૂલાત નોંધાઈ છે.
વેપારીઓમાં દોડધામ
પાલિકાની સત્તાવાર માહિતી મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં લિંબાયત ઝોનમાં કુલ 327.31 કરોડ રૂપિયાની વેરા માંગણી સામે 4 ફેબ્રુઆરી સુધીમાં 208.37 કરોડ રૂપિયાની વસૂલાત થઈ ચૂકી છે, જે લગભગ 61.79 ટકા જેટલી થાય છે. પાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે આગામી દિવસોમાં હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રિયલ તેમજ અન્ય કોમર્શિયલ મિલકતોમાં પણ વેરા વસૂલાતની કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવશે. સુરત મહાનગરપાલિકાનો સ્પષ્ટ સંદેશ છે કે જો વેરો બાકી રાખવામાં આવશે તો સીલિંગ નિશ્ચિત છે અને કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં નહીં આવે.




















