Jamnagar News: શહેરના ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને વાહનચાલકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગરના ખંભાળિયા બાયપાસ જંકશન પર નાઘેડી બાયપાસ પાસે ₹135.70 કરોડના ખર્ચે નવો એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
લોકપ્રતિનિધિઓની રજૂઆતને મળી સફળતા
જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય મંત્રી રિવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા આ પ્રોજેક્ટ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે ખંભાળિયા બાયપાસ પર વધતા જતા ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાના નિવારણ માટે ફ્લાયઓવર અનિવાર્ય છે. લોકપ્રતિનિધિઓની આ સક્રિય રજૂઆતને પગલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ દરખાસ્તને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
શા માટે આ બ્રિજ જરૂરી હતો?
ખંભાળિયા બાયપાસ જંકશન જામનગરનો સૌથી વ્યસ્ત વિસ્તાર ગણાય છે. આ બ્રિજ બનવાથી નીચે મુજબના ફાયદા થશે. રાજકોટથી આવતા અને ખંભાળિયા તરફ જતા ભારે વાહનોને કારણે અહીં સતત ટ્રાફિક રહેતો હતો. મોટી ખાવડી સ્થિત વિવિધ કંપનીઓની બસો અને ખાનગી વાહનો આ જ માર્ગનો ઉપયોગ કરે છે, જે હવે સીધા બ્રિજ પરથી પસાર થઈ શકશે. પવિત્ર યાત્રાધામ દ્વારકા જવા માટે પણ આ મુખ્ય માર્ગ હોવાથી પ્રવાસીઓને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. એલિવેટેડ બ્રિજ બનવાથી લોકલ ટ્રાફિક અને હાઈવે ટ્રાફિક અલગ થઈ જશે, જેનાથી અકસ્માતની સંભાવનાઓ નહિવત થઈ જશે.
કાયમી સમસ્યાનો આવશે અંત
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ₹135.70 કરોડની ફાળવણીની જાહેરાત થતા જ જામનગરવાસીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થશે, જે જામનગર અને આસપાસના વિસ્તારના લોકો માટે પરિવહનને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવશે.





