Ambalal Patel Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્ય અને દેશના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 20 દિવસો ખેડૂતો અને સામાન્ય જનતા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.
પવનની ગતિમાં પ્રચંડ વધારો
અંબાલાલ પટેલની આગાહી મુજબ, એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપ દેશના ઉત્તરીય ભાગોમાં પ્રવેશશે. તેની અસરને કારણે રાજસ્થાનમાં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં અને રાજ્યના અન્ય ભાગોમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ભારે પવનને કારણે દેશના અનેક ભાગોમાં વીજ કપાત અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
કમોસમી વરસાદ અને કરાની આગાહી
28 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન 'બેક ટુ બેક' સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ રહેશે. ઉત્તર ભારતમાં ભારે મેઘગર્જના, વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની શક્યતા. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે. એપ્રિલનો પ્રકોપ 5 એપ્રિલ બાદ ફરી 8 થી 16 એપ્રિલ દરમિયાન એક પછી એક પશ્ચિમી વિક્ષેપ દેશ અને ગુજરાતના હવામાનને પ્રભાવિત કરશે.
ખેતી અને બાગાયતી પાકો પર જોખમ
આ કમોસમી ફેરફારને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ભારે પવન અને વરસાદને કારણે આંબા પરના મોર (ફૂલ) અને નાના ફળો ખરી પડવાની શક્યતા છે, જે બાગાયતદારો માટે આર્થિક ફટકો સાબિત થઈ શકે. ખેતરમાં ઉભેલા અન્ય રવિ પાકોને પણ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. અંબાલાલ પટેલે દેશના કેટલાક ભાગોમાં મોટું વાવાઝોડું આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે, જેની અસર કેરળથી લઈને ઉત્તર ભારત સુધી જોવા મળી શકે છે. ખેડૂતોએ પોતાના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને પવન દરમિયાન વીજળીના થાંભલા કે ઝાડ નીચે ઊભા ન રહેવા અપીલ કરવામાં આવે છે.





