T20 World Cup 2026 : ભારત અને શ્રીલંકાની ધરતી પર T20 વર્લ્ડ કપ 2026 નો રંગારંગ પ્રારંભ થવા જઈ રહ્યો છે. કોલંબોના મર્કેન્ટાઇલ ક્રિકેટ એસોસિએશન ખાતે આજે 'કેપ્ટન ડે' (Captain's Day) ઇવેન્ટ યોજાઈ હતી. બપોરે 12:00 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને આયર્લેન્ડ જેવા દેશોના કેપ્ટન ભેગા થયા હતા. આ પ્રેસ કોન્ફરન્સને બે ભાગમાં વહેંચવામાં આવી હતી, જેમાં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને આયર્લેન્ડ જેવા દેશોના સુકાનીઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
સલમાન આગાનું નિવેદન
આ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન અલી આગા આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તેમણે બાંગ્લાદેશ વિશે એક ભાવુક નિવેદન આપતા કહ્યું કે, "બાંગ્લાદેશીઓ અમારા ભાઈઓ જેવા છે." સલમાન અલી આગાએ પાકિસ્તાની ટીમને મળતા બાંગ્લાદેશી ફેન્સના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે દુઃખ વ્યક્ત કરતા ઉમેર્યું કે, બાંગ્લાદેશની ટીમ આ વખતે ટુર્નામેન્ટમાં રમી રહી નથી, જેની ખોટ ચોક્કસપણે વર્તાશે.
ભારત સાથેની મેચ અને બહિષ્કાર
ટુર્નામેન્ટની શરૂઆત પહેલા પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થવાના ચર્ચાઓ ચાલી રહી હતી. સલમાન અલી આગાએ સ્પષ્ટ કર્યું હતું કે, 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચ અંગે તેઓ સરકાર અને ક્રિકેટ બોર્ડના આદેશોનું પાલન કરશે. જો સરકાર મેચના બહિષ્કારનો નિર્ણય લેશે, તો ખેલાડીઓ તેની સાથે રહેશે. લાહોરથી કોલંબો રવાના થતી વખતે જ સલમાન આગાએ સંકેત આપ્યા હતા કે ટીમ મેનેજમેન્ટ તરફથી તેમને આ બાબતે સૂચના મળી ચૂકી છે.
ટીમનો મુખ્ય લક્ષ્ય
જોકે, ભારત સામેની મેચ પર અનિશ્ચિતતા હોવા છતાં પાકિસ્તાની કેપ્ટને મક્કમતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, T20 વર્લ્ડ કપ માત્ર ભારત સામે રમવા પૂરતો મર્યાદિત નથી. પાકિસ્તાની ટીમ શ્રીલંકામાં દરેક મેચ જીતવા અને ટ્રોફી ઉઠાવવાના મજબૂત ઇરાદા સાથે આવી છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે, ટીમ અન્ય ગ્રુપ મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે.




















