સુરત: આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતમાં દેશભક્તિનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું. જ્યારે દેશ 79મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના સુરત શહેરથી ઉદભવેલી એક એવી પ્રેરણાદાયક કથા સામે આવી છે, જેને જાણીને દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)માં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જિતેન્દ્રસિંહ રાઠોડ પોતાના જીવનને દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદોને સમર્પિત કરી ચૂક્યા છે.
2.07 લાખથી વધુ શહીદ જવાનોની વિગતો, 23 હજારથી વધુ તસવીરો:
જિતેન્દ્રસિંહ રાઠોડ પાસે પ્રથમ વિશ્વયુદ્ધ (1914)થી લઈને આજદિન સુધી શહીદ થયેલા 2,07,000થી વધુ જવાનોની વિગતો છે. તેમને શહીદોના ફોટોગ્રાફ્સનું પણ વિશાળ કલેક્શન છે – અત્યાર સુધીમાં 23,156 તસવીરો એકત્ર કરી ચૂક્યા છે. આ સંગ્રહ માત્ર અંકડાઓ નથી, પણ દેશપ્રેમ અને બલિદાનની જીવંત સાક્ષી છે.
સાધારણ ઘટના બની જીવનનો વળાંક:
મૂળ રાજસ્થાનના વતની જિતેન્દ્રસિંહના જીવનમાં એક નાનકડી ઘટના ભવિષ્યના મિશનનું કારણ બની. એક વાર એક શહીદના પિતાની વાર્તા વાંચી હતી –“બેટા ગયા તો ક્યા હુઆ, વતન તો સલામત હૈ.” આ વાક્ય તેમના દિલમાં ઊંડે ઉતરી ગયું અને ત્યારથી તેમણે શહીદોની માહિતી એકત્ર કરવાનો સંકલ્પ લીધો.
ઘરના છત પર બનાવ્યું શહીદ સંગ્રહાલયઃ
SVNITના સિક્યોરિટી ગાર્ડનું ઘર આજે શહીદોના સંસ્મરણોનું તીર્થસ્થાન બની ચૂક્યું છે. તેમના ઘરના છત પર બનેલું સંગ્રહાલય ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ અને ભાવનાત્મક રીતે સ્પર્શક છે. અહીં:
પ્રથમ વિશ્વયુદ્ધના 75,000 શહીદોની વિગતો અને તસવીરો છે
બીજા વિશ્વયુદ્ધના 80,000 જેટલા શહીદોની યાદગાર માહિતી
કારગિલ યુદ્ધ અને તે પછીના યુદ્ધોમાં શહીદ થયેલા જવાનોની માહિતીઓ સહિત, તેમના પરિવારજનો સાથે પત્રવ્યવહારના ડોક્યુમેન્ટ્સનો પણ સંગ્રહ છે.
5000થી વધુ શહીદ પરિવારો સાથે લાગણીપૂર્ણ સંબંધ:
જિતેન્દ્રસિંહ માત્ર માહિતી જ એકત્ર કરતા નથી, પણ 5000થી વધુ શહીદ જવાનોના પરિવારજનો સાથે સીધો સંબંધ જાળવે છે. તેઓ નિયમિતપણે પોસ્ટકાર્ડ લખે છે, ખબરઅંતર પૂછે છે અને પરિવારજનોને લાગણીઓનો સાથ આપે છે – જેથી તેઓ જાણે કે તેમનો પુત્ર ભુલાઈ ગયો નથી.
શહીદ માતા-પિતાના ચરણોની માટીનું અનમોલ કલેક્શન:
આ સંગ્રહાલયની એક અત્યંત ભાવુક વસ્તુ એ છે કે, જિતેન્દ્રસિંહે 300થી વધુ શહીદ જવાનોના માતા-પિતાના ચરણોની માટી એકત્ર કરી છે. તેમની દૃષ્ટિએ આ માટી પાવન પ્રસાદ સમાન છે – જે શહીદોના ત્યાગ અને તેમના પરિવારના સમર્પણની મૌન સાક્ષી છે.
“શહીદ હોલ” બનાવવાનું સપનુંઃ
જિતેન્દ્રસિંહનું હાલનું સ્વપ્ન છે કે આ તમામ તસવીરો અને માહિતીનો એક ભવ્ય "શહીદ હોલ" બનાવવામાં આવે – જ્યાં લોકો, ખાસ કરીને યુવા પેઢી, આવીને દેશ માટે બલિદાન આપનાર હીરાઓના જીવનથી પ્રેરણા લઈ શકે. જિતેન્દ્રસિંહ રાઠોડ આપણને શીખવે છે કે સચ્ચો દેશપ્રેમ કોઈ ઉચ્ચ પદ કે ધન-સંપત્તિથી બંધાયેલો નથી, પણ તે એક નિર્મળ ભાવના અને અડગ સમર્પણથી ઊભો રહે છે.





