Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના શૈક્ષણિક આલમમાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા સગીર વયના બાળકોને રાજકીય પક્ષના સભ્ય બનાવવામાં આવી રહ્યા હોવાનો એક સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ અને એબીવીપી (ABVP) ના કાર્યકરો પર ગંભીર આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
નાના બાળકોના મગજમાં રાજનીતિ ઘુસાડવાનો પ્રયાસ: ઋત્વિક મકવાણા
પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું છે કે, રાજકીય પ્રેશર અને સત્તાના જોરે શાળામાં ભણતા નાના બાળકો અને વિદ્યાર્થીઓના મગજમાં અત્યારથી જ રાજનીતિ ઘુસાડવામાં આવી રહી છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, "ચાલુ વર્ષે દેશમાં અંદાજે ૧ લાખ જેટલી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. શિક્ષણનું સ્તર સુધારવાને બદલે હવે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા નિર્દોષ વિદ્યાર્થીઓને પક્ષના સભ્ય બનાવીને તેમના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે."
પુરાવા તરીકે ફોટા કર્યા વાઈરલ
પોતાના આક્ષેપોના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોગ્રાફ્સ પણ વાઈરલ કરવામાં આવ્યા છે. આ ફોટાઓમાં ભાજપ અને ABVPના કાર્યકરો શાળાના પરિસરમાં કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સભ્યપદ આપતા હોવાનું દેખાઈ રહ્યું છે. આ ફોટા વાઈરલ થતાં જ શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે.
પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે, આ વિષય અત્યંત ગંભીર છે અને શાળાઓ જેવા પવિત્ર સ્થળે રાજકીય પ્રવૃત્તિઓ ચલાવી લેવાય નહીં. આ મામલે જવાબદારો સામે તુરંત અને યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે."
વાલીઓને જાગૃત થવા અપીલ
ઋત્વિક મકવાણાએ રાજકીય પ્રહારો કરવાની સાથે સાથે સમાજના વાલીઓને પણ એક મહત્વની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે વાલીઓએ પોતે જાગૃત બનવું પડશે. બાળકોને કોઈપણ પ્રકારની ધાર્મિક કે રાજકીય કટ્ટરતાથી દૂર રાખવા જોઈએ, જેથી તેમનું ધ્યાન માત્ર અને માત્ર શિક્ષણ અને સકારાત્મક ભવિષ્ય ઘડતર પર જ કેન્દ્રિત રહે. હાલમાં આ ગંભીર આક્ષેપો બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, અને શિક્ષણ વિભાગ આ બાબતે શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.





