Home Gujarat Keshod Mangrol Heavy Rain 98 Inch Ndrf Alert St Bus Stuck

કેશોદમાં જળબંબાકાર વચ્ચે વહીવટી તંત્ર તેમજ NDRF એલર્ટ : છેલ્લા 12 કલાકમાં 9.8 ઇંચ વરસાદથી સ્ટેટ હાઇવે બંધ, મુસાફરો ભરેલી ST બસ ફસાઈ

Junagadh Rains
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2026, 02:26 PM IST

Junagadh Rains: જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. ખેતરોના આ પાણી રસ્તાઓ પર ફરી વળતા જૂનાગઢ-કેશોદ-માંગરોળ સ્ટેટ હાઇવે પર એકથી દોઢ ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે, જેને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 12 કલાકમાં આ વિસ્તારોમાં 9.8 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

4 મિનિટમાં લાકડાના 13 ફટકા! : માત્ર 2000ની લેતીદેતીમાં વૃદ્ધની કરપીણ હત્યા, સુરતની ઘટનામાં આરોપીને લઈ મોટો ખુલાસો

આ આફતની વચ્ચે માંગરોળ શહેરમાં નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે. શહેરમાં પાઇપલાઇન નાખવા માટે કરાયેલા ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય સમારકામ કરવાને બદલે માત્ર માટી ભરી દેવાઈ હતી. વરસાદના કારણે આ જમીન બેસી જતાં માંગરોળ-કેશોદ રોડ પર ટાવર નજીક મુસાફરોથી ભરેલી એક એસટી બસનો આગળનો ભાગ આ જોખમી ખાડામાં ખૂંચી ગયો હતો. બસ ફસાવાના કારણે મુસાફરોમાં ભારે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ નગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી ભારે જહેમત ઉઠાવીને બે કલાક બાદ બસને સુરક્ષિત બહાર કાઢી હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી.

વરસાદી આપત્તિને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. કેશોદના પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના સ્ટાફે પૂરની સ્થિતિ ધરાવતા પ્રભાવિત સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને નિરીક્ષણ શરૂ કર્યું છે. હજુ પણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈએ પણ જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવું નહીં અને પૂરતી સાવચેતી રાખવી. દર વર્ષે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોવાથી વડોદરાથી એનડીઆરએફની એક ખાસ ટીમને પણ કેશોદ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

વલસાડમાં આકાશી આફતનું મંડરાતું સંકટ : આગામી 3 દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ; તંત્ર એક્શન મોડમાં, NDRFની ટીમ સ્ટેન્ડ બાય

કેશોદમાં તૈનાત એનડીઆરએફના ઈન્સ્પેક્ટર મંજીત સિંહે જણાવ્યું છે કે આગામી દિવસોમાં જો ભારેથી અતિભારે વરસાદ પડે અને પૂર જેવી સ્થિતિ સર્જાય તો તેમની ટીમ ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને બચાવ કાર્ય કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. પૂરના પાણીમાં રાહત કામગીરીને લગતી કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો તેમની ટીમ વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોને પૂરેપૂરો સહયોગ આપશે. કેશોદ-માંગરોળ હાઈવે પર વલ્લભગઢ નજીક રસ્તા પર પાણી ફરી વળતાં એનડીઆરએફની ટીમ પરિસ્થિતિના નિરીક્ષણ માટે પણ પહોંચી ગઈ છે.

આ ટીમમાં કુલ 30 સભ્યો સામેલ છે અને આ તમામ જવાનો કોઈપણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આપત્તિઓનો સામનો કરવા માટે શારીરિક અને માનસિક રીતે પ્રશિક્ષિત છે. આ ઉપરાંત પૂર બચાવ કામગીરી તેમજ ભારે વરસાદને કારણે જો કોઈ મકાન કે ઈમારત ધરાશાયી થાય, તો તેમાંથી લોકોને સુરક્ષિત રીતે જીવતા બહાર કાઢવા માટેના તમામ અત્યાધુનિક સાધનો પણ તેમની ટીમ પાસે હાજર છે અને તેઓ કોઈપણ પડકારને પહોંચી વળવા તૈયાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now