સુરતનો કુખ્યાત ચિરાગ ગોટીનો આતંક હવે નવસારી જિલ્લાના બીલીમોરા સુધી પહોંચ્યો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2024માં થયેલી ઘટનામાં ચિરાગ ગોટીએ પોતાના ભાગીદાર પાર્થ બાબુ મિયાણી સાથે માત્ર ₹11 હજારની લેવડદેવડના મુદ્દે અમાનવીય વર્તન કર્યું હતું. તે સમયે બંને બીલીમોરામાં લાઈટ ઓઈલ અને ડીઝલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ધંધામાં ₹11,000ની ખોટ આવતા ચિરાગે આ રકમ પાર્થ લઈ ગયો હોવાનો આરોપ મૂકી ઉશ્કેરાઈ ગયો હતો.
કુખ્યાત ચિરાગ ગોટીનો આતંક
19 નવેમ્બર 2024ના રોજ ચિરાગ ગોટીએ પાર્થ મિયાણીને અપહરણ કરી આખી રાત સુધી ગોંધી રાખ્યો હતો અને દંડા વડે ઢોર માર માર્યો હતો. પોતાની ધાક જમાવવા માટે તેણે કંપનીના કર્મચારી રાકેશ રાઠવાને પોતાનો મોબાઇલ આપી મારપીટનો વીડિયો લાઈવ શૂટ કરવા સૂચના આપી હતી.
11 હજાર માટે દંડા વડે ઢોર માર માર્યો
પાર્થને ગંભીર રીતે માર માર્યા બાદ તેના ઘરેથી ₹11,000 મંગાવવામાં આવ્યા હતા અને રકમ મળ્યા પછી જ તેને છોડવામાં આવ્યો હતો. હાલમાં સુરત પોલીસની પકડમાં રહેલા ચિરાગ ગોટીને હવે બીલીમોરા પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે કબજે લેશે તેવી માહિતી મળી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ચિરાગ ગોટીના ગુનાહિત નેટવર્ક અને તેના આતંકને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.



















