Surat News: સુરત શહેરના સચિન વિસ્તારમાંથી ખાણીપીણીના રસિકો માટે એક ચોંકાવનારો અને જીવ અધ્ધર કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. સચિન વિસ્તારના પાલી ગામ ખાતે આવેલી 'જય હનુમાન ચાઇનીઝ સેન્ટર' નામની લારી પરથી ખરીદવામાં આવેલા મંચુરિયનમાંથી મરેલું ઉંદરનું બચ્ચું મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકા (SMC)ના આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરી છે.
7 થી 8 કિલો અસ્વચ્છ ખાદ્યપદાર્થનો નાશ
બનાવ અંગેની ગંભીર ફરિયાદ મળતા જ ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન આ લારી પર અત્યંત ગંદકી અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ જોવા મળી હતી. અધિકારીઓએ સ્થળ પરથી આશરે 7 થી 8 કિલો જેટલો ખરાબ અને વાસી ખાદ્યપદાર્થ ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કરાવ્યો હતો.
લારી સંચાલકને નોટિસ અને આકરા આદેશો
આરોગ્ય વિભાગે ‘જય હનુમાન ચાઇનીઝ’ના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરતા આકરા પગલાં લીધા છે. સંસ્થાને તાત્કાલિક ધોરણે લારી અને આસપાસના વિસ્તારમાં જીવાતો સામે નિયંત્રણ માટે 'પેસ્ટ કંટ્રોલ' કરાવવા કડક સૂચના આપવામાં આવી છે. ખાદ્યપદાર્થો બનાવતી વખતે પૂરતી સફાઈ અને સ્વચ્છતા જાળવવા માટે આકરી નોટિસ ફટકારવામાં આવી છે.
સુરત મનપાની સઘન ચેકિંગ ઝુંબેશ
આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે હવે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવશે. સચિન અને પાલી ગામ આસપાસ આવેલી અન્ય ચાઇનીઝ તેમજ ખાણીપીણીની લારીઓ પર આવનારા દિવસોમાં ખાસ તપાસ અભિયાન ચલાવવામાં આવશે. સમગ્ર શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવીને સઘન ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.
આરોગ્ય વિભાગનો સંદેશ
સુરત મહાનગરપાલિકાએ તમામ ખાણીપીણીના વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરનારા કોઈપણ લારી કે હોટેલ સંચાલકને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડકમાં કડક પગલાં લેવાશે.





